ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી અંગે રાજ્યના આરોગ્યમંત્રીએ મહત્ત્વની ચોખવટ કરી નાંખી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ રહસ્યમય બીમારીથી હજુ સુધી ચીમાં કોઈનું મોત થયું નથી. ફરીથી કોઈ મોટી આપત્તિ આવે એવું લાગતું નથી. ગુજરાત કે ભારતના નાગરિકોએ કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
કોરોના વાયરસ સામે સૌ કોઈ ડરી ગયા હતા છતાં આ આફતમાંથી બહાર નીકળી ગયા છીએ. ફરીથી આવી કોઈ આફત આવે એવું હાલ તો લાગતું નથી. જો આફત આવશે તો પણ આપણે એનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયા છીએ. કોરોના વાયરસ માંડ શમી ગયો એ પછી લોકો આ રહસ્યમય બીમારીની ચપેટમાં આવી ગયા છે. માઈકોપ્લાઝ્મા ન્યૂમોનિયા અને ઈન્ફ્લુએન્ઝા ફ્લૂના કેસને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચિંતા વ્યક્ત કરી છે.
આ રહસ્યમય બીમારીને ધ્યાને લઈને ભારત સરકારે પણ સર્તકતા દાખવી છે. એલર્ટ મોડ પર રહીને કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને પત્ર લખીને હોસ્પિટલની તૈયારીઓ મામલે જરૂરી સૂચનાઓ આપી છે. ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધી બીમારી અંગે સરકાર સતત નજર રાખી રહી છે. આ વાત કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ જણાવી હતી. શિયાળું માહોલ હોવા છતાં કેટલાક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. બેડથી લઈને વેન્ટિલેટર સુધી તમામની સ્થિતિ કેવી રહેશે અને કેવી રાખવાની છે એને લઈને કેન્દ્રીય મંત્રીએ સીધા જ અધિકારીઓ સાથે વાત કરી છે.
મિશ્ર ઋતુને કારણે હોસ્પિટલમાં શરદી ઉધરસ અને તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શિયાળું ઠંડા માહોલને કારણે શરદીના કેસ વધી રહ્યા છે. જ્યારે ગળામાં કફ અને છાતીમાં કફની સમસ્યાઓ વધી રહી છે. તબીબો સલાહ આપી રહ્યા છે કે, બને ત્યાં સુધી હાલમાં ગરમ પાણી પીવાનું રાખો. બહારનું કોઈ ફૂડ ખાવાનું ટાળો. જ્યારે વહેલી સવારે ઠંડો માહોલ હોવાથી સ્વેટર તથા જેકેટ પહેરીને નીકળો. જ્યારે કાન અને નાકમાં કોઈ રીતે પવન ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે.