Gujarati News : સાળંગપુર મંદિરમાં (Salangpur Temple) હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવ્યાનો વિવાદ હવે ધીમે ધીમે વધુ વધતો જાય છે. ત્યારે આ બાબતે સાધુ-સંતો, લોક સાહિત્ય કલાકારો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. જો સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય દ્વારા હનુમાનજીનાં વિવાદિત ચિત્રો જો દૂર કરવામાં નહી આવે તો આગામી સમયમાં આ વિવાદ વધુ વધવાની સંભાવનાઓ છે.
એક સંપ્રદાય હમેશા દેવી દેવતાઓનું અપમાન કરે છેઃ મહંત જયરામદાસ મહારાજ
સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં ચિત્ર વિવાદ મામલે કટાવધામનાં મહંત જયરામદાસજી મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે હવે ગુજરાતનાં સંતોએ હવે એક થવાની જરૂર છે. એક સંપ્રદાય હંમેશા દેવી દેવતાઓનું અપમાન કરે છે. આ સંપ્રદાયનો વિરોધ કરવો જરૂરી છે. અગાઉ પણ આ મુદ્દે મોરારી બાપુએ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે વહેલી તકે આ વિવાદનો અંત આવવો જોઈએ.
વહેલી તકે ચિત્રો દૂર નહી થાય તો રામધૂન કરી વિરોધ નોંધાવીશું
સાળંગપુર હનુમાનજી ચિત્ર વિવાદનો મામલો વધુને વધુ ગંભીર બનતો જાય છે. સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ચિત્રને લઈ સાધુ સમાજ દ્વારા ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે વિવાદિત ચિત્રો દૂર કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ છે. ત્યારે વહેલી તકે ચિત્રો દૂર નહી થાય તો રામધૂન કરી વિરોધ કરવામાં આવશે. ત્યારે સનાતન ધર્મનાં જયકાર સાથે સાળંગપુર મંદિર મામલે વિરોધ નોંધાવ્યો હતો.
સનાતન ધર્મના દેવી-દેવતાને નીચા બતાવીને શું સાબિત કરવા માગો છો-અશ્વિન પાઠક
સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંત ચિત્રોનાં વિવાદ મામલે સુંદરકાંડનાં વક્તા અશ્વિન પાઠકે દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે સુંદરકાંડનાં વક્તા અશ્વિન પાઠકે કહ્યું હતું કે, હનુમાનદાદા માત્ર પ્રભુ રામનાં દાસ હોઈ શકે અન્ય કોઈનાં નહી. તેમજ સનાતન ધર્મનાં દેવી-દેવતાને નીચા બતાવીને શું સાબિત કરવા માંગો છે. તાત્કાલિક આ ચિત્રો દૂર કરી આ વિવાદનો ઉકેલ લાવો. તેમજ આવા વિવાદોથી સનાતન ધર્મ વિભાજીત થાય છે.