સુરતના એક બિલ્ડરને એગ્રિમેન્ટ કર્યા વિના જ ખરીદદારો પાસેથી પ્રોપર્ટીની કિંમતની ૧૦ ટકા રકમ લઈ લેવા ઉપરાંત પ્રોજેક્ટમાં ફેરફારને મંજૂરી ના મળી હોવા છતાંય બુકિંગ લેવાનું શરુ કરી દેતા રેરા દ્વારા સવા સાત લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, અરિહંત એસોસિએટ્સે રાજ ટેક્સટાઈલ ટાવર નામના એક પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્રોજેક્ટની કોસ્ટ ૨૩૯ કરોડ રુપિયા દર્શાવાઈ હતી, પ્રમોટર્સે કન્સ્ટ્રક્શન શરુ કરીને કેટલાક યુનિટ વેચી પણ દીધા હતા.
ત્યારબાદ પ્રમોટર દ્વારા પ્રોજેક્ટમાં સામાન્ય ફેરફાર કરવા માટે રેરામાં ૨૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ અરજી આપવામાં આવી હતી. જાેકે, પ્રોજેક્ટના ઈન્સ્પેક્શન દરમિયાન માલુમ પડ્યું હતું કે, તેના ૧૯૪ યુનિટ વેચી દેવાયા છે અને યુનિટની કુલ કોસ્ટના ૧૦ ટકા ખરીદદારો પાસેથી લઈ લેવાયા છે, જે રેરા એક્ટની કલમ ૧૩ (૧)નો ભંગ કરે છે. નિયમ અનુસાર, જાે પ્રમોટર યુનિટની કિંમતના ૧૦ ટકાથી વધુ ખરીદદાર પાસેથી વસૂલ કરે તો તેના માટે એગ્રિમેન્ટ કરવું ફરજિયાત છે.
આ સિવાય રેરા ઓથોરિટીના ધ્યાન પર એ બાબત પણ આવી હતી કે પ્રોજેક્ટમાં ફેરફાર કરવા માટે જે અરજી આપવામાં આવી હતી તેના પર કોઈ ર્નિણય લેવાય તે પહેલા જ ૨૨૯ યુનિટનું બુકિંગ લેવાયું હતું અથવા વેચાણ કરવામાં આવ્યું હતું, જે રેરા એક્ટના સેક્શન ૩નો ભંગ કરે છે. આ મામલે રેરા ઓથોરિટીએ સુઓ મોટો દાખલ કરીને પ્રોજેક્ટની ડિઝાઈનમાં ફેરફારની અરજી અંગે કોઈ ર્નિણય લેવાય તે પહેલા યુનિટ્સનું બુકિંગ લેવા બદલ પ્રમોટરને નોટિસ ફટકારી હતી.
પ્રમોટરે વેચાણ કરેલા ૫૩માંથી માત્ર ૯ યુનિટ માટે જ વેચાણ કરાર કર્યો હતો. આ અંગે તેણે રેરા સમક્ષ રજૂ કરેલી વિગતોને ફગાવી દેતા તેને સેક્શન ૬ના ભંગ બદલ ૬ લાખ અને કલમ ૧૩ (૧)ના ભંગ બદલ ૧.૨૫ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. રેરા એક્સપર્ટ મહાદેવ બિરલાએ અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે, મંજૂર થયેલા પ્લાનના લેઆઉટ, સ્પેસિફિકેશન, એનિમિટિઝ તેમજ અન્ય કોઈપણ બાબતમાં ફેરફાર કરતા પહેલા રેરાની મંજૂરી લેવી આવશ્યક છે. આ ફેરફારને રેરાની મંજૂરી મળે ત્યારબાદ જ અપાર્ટમેન્ટ, પ્લોટ કે પછી બિલ્ડિંગની ડિઝાઈન સહિતની કોઈપણ બાબતમાં ફેરફાર કરી શકાય છે. તેના માટે પ્લાન બદલતા પહેલા રેરા સમક્ષ ફરી અરજી કરવાની રહે છે.