સુરતના વરાછાની પરિમલ સોસાયટીમાં પાંચ મહિનાના બાળક સાથે પુત્રવધુને તેના પિયર આસામ જવા દેવોનો ઇન્કાર કરનાર સાસુને મોત મળ્યું હતું. સાંભળીને આંચકો લાગ્યો ને. પણ આ સાચે બન્યું છે. આ ઘટનામાં પુત્રવધુ અને તેના ભાઇએ તકીયા વડે મોઢું અને ગળું દબાવી મોતને ઘાત ઉતારી ઘરને બહારથી તાળું મારી ભાગી ગયા હતા. જાે કે પતિને સમય રહેતા સમગ્ર ઘટનાની ગંધ આવી જતાં બંનેને સુરત રેલવે સ્ટેશનથી ઝડપી પાડી માર મારીને વરાછા પોલીસને હવાલે કર્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછાના એલ.એચ. રોડ સ્થિત પરિમલ સોસાયટીના ઘર નં. ૫૯ ના પહેલા માળે રહેતો રત્નકલાકાર સંદીપ ઉર્ફે દેવો જીણાભાઇ સરવૈયા ગત રાતે નાઇટ ડ્યુટીમાં ગયો હતો. અને તેની માતા વિમળાબેન અને પત્ની દિપીકા અને સાળો દિપાંકર દિપક મંડલ ઘરે હતા. પાંચ મહિનાના બાળકને લઇ દિપીકા તેના વતન જવા ઇચ્છતી હતી. પરંતુ સંદીપ અને તેની માતા વિમળાબેન ઇન્કાર કરી રહ્યા હતા.
જેથી દિપીકા સાથે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાનમાં સંદીપ નાઇટ ડ્યુટીમાં ગયો હોવાની તકનો લાભ લઇ વહેલી સવારે દિપીકા અને તેનો ભાઇ દિપાંકર વતન જવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ અરસામાં વિમળાબેન જાગી જતા તેમણે અટકાવતા દિપીકા અને તેના ભાઇ દિપાંકરે તકીયા વડે વિમળાબેનનું મોંઢુ અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ઘરને બહારથી તાળું મારી ચાલ્યા ગયા હતા.
વહેલી સવારે દિપીકા અને દિપાંકર જવાની તૈયારી કરી રહ્યા હોવાથી વિમળાબેને વતનમાં રહેતા તેમના પતિ જીણાભાઇને ફોન કરતા જે તે વખતે ફોન રિસીવ કર્યો ન હતો. પરંતુ જીણભાઇએ વિમળાબેનને ફોન કરતા તેમણે કોલ રિસીવ નહીં કરતા પુત્રવધુ દિપીકાને કોલ કર્યો હતો. પરંતુ બંને જણા ફોન રિસીવ નહીં કરતા હોવાથી કંઇક અઘટિત થયાની શંકા જતા નજીકમાં રહેતા બનેવીને કોલ કરી ઘરે મોકલાવ્યા હતા.
પરંતુ ઘરના દરવાજા પર તાળું જાેઇ ચોંકી ગયા હતા અને તુરંત જ સંદીપને જાણ કરી હતી. સંદીપ તુરંત જ રેલવે સ્ટેશન ખાતે ઘસી જઇ પત્ની દિપીકા અને સાળા દિપાંકરને પકડીને માર મારી ઘરે લઇ આવ્યો હતો. ઘરે આવી માતાને મૃત જાેતા સંદીપને પત્નીને પુનઃ માર મારી પોલીસને જાણ કરી હતી. જેણે પગલે પીઆઇ અલ્પેશ ગાબાણી સ્ટાફ સાથે ઘસી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી દિપીકા અને દિપાંકરની ધરપકડ કરી હતી.