મહેસાણાના વિજાપુર ખાતે મરચા પાઉડરમાં ભેળસેળના કૌભાંડ ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા મરચાં પાવડરમાં થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે અને રૂ. 10.45 લાખની કિંમતનો આશરે 3900 કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરાયો છે.

વધુમાં જણાવ્યાનુસાર આ દરોડા દરમિયાન પ્રાથમિક તપાસમાં ઉમીયા ગોડાઉન વિજાપુર-હિંમતનગર હાઈવે- મુ.તા- વિજાપુર, જી. મહેસાણા ખાતે કૌભાંડ આચરનાર વેપારી મુકેશકુમાર પૂનમચંદ મહેશ્વરી દ્વારા ઉપરોક્ત સ્થળ ઉપર મરચાં પાવડરનુ ઉત્પાદન ફૂડ સેફટી લાઈસન્સ વગર થતું હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડર સાથે લાલ કલરની હાજરી એટલે કે ભેળસેળ જોવા મળી હતી. આ લાલ કલરનો આશરે ૨ કિલોગ્રામ જેટલો જથ્થો સ્થળ પર મળી આવ્યો હતો.

વધુમાં ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા મેજિક બોક્ષ મારફત ફૂડ ટેસ્ટીંગ કીટ દ્વારા સ્થળ પર જ મરચાં પાવડરના જથ્થાની ચકાસણી કરતાં મરચાં પાવડરમાં કલરની હાજરી જણાઈ હતી. કલર ઉપરાંત સ્થળ પરથી મરચાં પાવડર, આખુ લાલ મરચું અને લાલ કલર મળીને કુલ 5 કાયદેસરના નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે બાકીનો આશરે 3900 કિલોગ્રામ જેટલો જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. 10,45,000 છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં પણ આ જ વેપારી મુકેશકુમાર પૂનમચંદ મહેશ્વરી પાસેથી જ શંકાસ્પદ ભેળસેળ વાળા મસાલાઓના નમુનાઓ લેવામાં આવ્યા હતા, જે અનસેફ થતા તેમની સામે નામદાર કોર્ટ, વિજાપુર ખાતે ‘ધી ફૂડ સેફટી એક્ટ, 2006’ હેઠળના 2 ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.


Share this Article