રાજ્યના લમ્પી વાયરસે અનેક ગાયોને પોતાનો શિકાર બનાવ્યો છે. આ વચ્ચે હાલ ભાભરમાં આવેલી દેશની સૌથી મોટી ગૌ હોસ્પિટલથી મોટા સમાચાર આવ્યા છે. આ ગૌશાળામાં ગાયોની ઇમ્યુનિટી વધારવા રોજનો 10 લાખનો ખર્ચ આવી રહ્યો છે જેને કારણે નાણાકીય ભીડ આવી છે. મળતી માહિતી મુજબ આ ગૌશાળામાં જલારામ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. ગૌશાળા પર હાલમાં બે કરોડનું દેવું છે કારણ કે આ લમ્પી વાયરસની અસરને લીધે ગાયોને વધુ પડતો પૌષ્ટિક આહાર આપવામા આવી રહ્યો છે અને તેના લીધે દૈનિક ખર્ચમાં આશરે 50 ટકા ખર્ચમા વધારો થયો છે.
માહિતી મુજબ અત્યારે સંસ્થામાં 10,000 જેટલી અશક્ત, વૃદ્ધ, બીમાર અને લમ્પીગ્રસ્ત ગાયો અને નંદી છે. આ ગૌશાળામાં વિશે વિગતે વાત કરીએ તો 250 ગોવાળ, 50 મેડિકલ સ્ટાફ ગાયની સેવામાં કાર્યરત છે. આ ગૌશાળાની શરૂઆત 1999માં સ્થાનિક સ્તરે થઈ જેમા 300 કિમી ઘેરાવામાં કોઈ પણ બીમાર, ફ્રેક્ચર થયેલી કે એસિડ એટેકનો ભોગ બનેલી ગાયને લાવવામા આવતી છે અને તેની માવજત કરવામા આવી છે.
આ માટે અહી વિશેષ ડિઝાઇનની 22 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. હાલની સ્થિતી અંગે વાત કરતા સંસ્થાના ફાઉડિંગ ટ્રસ્ટી પ્રકાશ ઠક્કરે જણાવ્યું હતું કે, અત્યારે અહી 10,000 જેટલી ગાયો છે. આમાંથી 500 ગાય લમ્પી ગ્રસ્ત છે અને 1200 જેટલા નંદી છે. આ ગાયો લમ્પીનો ભોગ ન બને તે માટે તેની ઇમ્યુનિટી વધારવા અમે તેમને ખાસ ખોરાક આપીએ છીએ. આ કારણે રોજનો 7 લાખનો ખર્ચ કરતા હતા જે હવે વધીને રોજનો 10 લાખ થયો છે.
સંસ્થા પર હાલ 2 કરોડનું દેવું થયું છે. આ સાથે તેમણે લોકોને અપીલ કરી છે કે યોગ્ય મદદ કરે જેથી બાકી બિલ ચૂકવી શકાય. આ ગૌશાળા અંગે વધુ વાત કરતા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, એસિડ એટેક અને આગથી દાઝેલી ગાયો માટે ખાસ એસી વોર્ડ, અકસ્માતે ફ્રેકચર થયેલી ગાયો માત્ર અલગ સુવિધા, ગાયોને પ્લેટ મૂકીને ચાલતી કરીને માલિકને સોંપીએ છીએ.