ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. હાલ પંચાયત વિભાગમાં હડતાળનો દોર ચાલી રહ્યો છે. પહેલા તલાટીની હડતાળ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓ પોત-પોતાની માંગને લઈ ૮ ઓગસ્ટથી રસ્તા પર ઉતરી ગયા છે.
ત્યારે આજે જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓની હડતાળનો મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે કર્મચારી મંડળે બેઠક કરી છે. જેમાં સરકારે મુખ્ય ૩ માંગ માંથી ૨ માંગમાં હા ભરી છે જ્યારે ગ્રેડ પેની માંગ માટે સમિતિની રચના કરી છે. સાથે જ સરકારે ૧૫ દિવસમાં ૨ માંગણી માટે ય્ઇ કરવાની ખાતરી આપી છે.
પણ આરોગ્ય કર્મચારીઑ તેમજ કર્મચારી મંડળના આગેવાનો મુખ્ય માંગ ગ્રેડ પે વધારા પર અડગ છે. અને ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે સરકાર ગ્રેડ પે મામલે ય્ઇ નહીં કરે ત્યાં સુધી ૧૬ હજાર આરોગ્ય કર્મચારીઓ પોતાની લડત ચાલી રાખશે. તો બીજી તરફ આરોગ્યમંત્રીએ બેઠકમાં હડતાળ સમેટી લેવા અપીલ કરી છે.
પણ મળતી માહિતી મુજબ હડતાળ નહીં સમેટાય તો કર્મચારીઓ પર કાર્યવાહી થવાના શક્યતાઓ સેવાઇ રહી છે. એપેડેમિક એક્ટ મુજબ આંદોલનકારી કર્મચારીઑ પર પગલા લેવાઈ શકે છે જે અનુસંધાને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના રણજીતસિંહ મોરીએ કહ્યું કે જાે કોઈ પણ કર્મચારી પર કાર્યવાહી થશે તો ગાંધીનગરમાં ૧૬ હજાર આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ધામા નાખશે.