સુનિલ બ્રહ્મભટ્ટ
મહેસાણામાં એક શિક્ષિકાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલાની તપાસ કરતાં આ શિક્ષિકાએ સ્કૂલના સ્ટાફની હેરાનગતિથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. શિક્ષિકાએ સ્યૂસાઈડ નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુસાઈડ નોટમાં શિક્ષિકાએ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલ અને મેડા આદરજ પ્રાથમિક શાળાના 2 શિક્ષક અને 9 શિક્ષિકા મળી 11 શિક્ષક સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે. હાલ શિક્ષિકાની હાલત ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ગોઝારિયાનાં વતની અને શિક્ષિકાનાં ફોઈના દીકરા પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે ઘાટલોડિયા પોલીસને જાણ કરતાં તેઓ ભાનમાં આવે પછી જાણ કરવા કહ્યું છે.
કડીના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા જયશ્રીબેન પટેલે ઘેનની 20 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આપઘાત બાદ તેમની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે કડી તાલુકા પંચાયતના ટીપીઓ પુષ્પાબેન સહિત 12 શિક્ષકોના માનસિક ત્રાસથી પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. શિક્ષિકા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે પોતાના ભાઈ સાથે ફોન ઉપર વાત કર હતી. જેમાં તેમણે ફોન પર શિક્ષકોના માનસિક ત્રાસની સઘળી હકીકત જણાવી હતી. આ વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.
કડી તાલુકાના ચંદનપુરા (થોળ) ગામની યુવતી મેડા આદરજ પ્રાથમિક શાળામાં વર્ષ 2011થી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. શિક્ષિકાએ ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને 4 પેજની સુસાઈડ નોટ લખી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં અમદાવાદની સત્તાધાર ચોકડી સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે, જ્યાં 72 કલાક ક્રિટિકલ હોવાનું ફોઈના દીકરા પ્રફુલ ગોવિંદ પટેલે જણાવ્યું હતું. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે મેડા આદરજ પ્રાથમિક શાળામાં શિક્ષકોનાં 2 ગ્રુપ થઈ ગયાં છે. શિક્ષિકા અને આચાર્ય સામે શાળાના અન્ય શિક્ષકોએ રજૂઆત કરી હતી, જેની તપાસ કડી ટીપીઈઓને આપી હતી. તપાસનો અહેવાલ આવી જતાં શનિવારે સુનાવણી પણ રાખી હતી. શિક્ષિકાના આપઘાતના પ્રયાસ અંગે મને કોઇ જાણ નથી.