હાલમાં ચારેબાજુ ચૂંટણીનો માહોલ છે અને ત્રણેય પાર્ટી પોતાના ઉમેદવારોને કઈ રીતે જીતાડવા એની જ ચર્ચામાં લાગેલા છે. ખુબ મનોમંથન કરીને એક એક ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. ત્યારે આ પહેલા ભાજપે 160ની યાદી અને હવે આજે 6 ઉમેદવારની યાદી બહાર પાડી છે. પરંતુ બેમાંથી એકેય યાદીમાં યુવા નેતા અલ્પેશ ઠાકોરનું નામ નથી. ત્યારે દરેક જગ્યાએ એક ચર્ચા એવી પણ કરવામાં આવી રહી છે કે અલ્પેશ ઠાકોરનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના કારણે પાર્ટી પણ મુંઝાઈ ગઈ છે કે અલ્પેશને આખરે કઈ બેઠક પરથી ટિકિટ આપવી અને આપવી કે કેમ?
આ પહેલાં પણ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લાગ્યા હોવાના સમાચાર બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયું હતું. દક્ષિણની બેઠક વિસ્તારમાં લાગેલા આ બેનર પર લખવામાં આવ્યું છે કે અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. બેનરોમા એ પણ સ્પષ્ટ લખવામા આવ્યુ છે કે તમારા માટે રાધનપુર બરાબર છે. જો અમારી 35 ગાંધીનગર દક્ષિણ તરફ આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામા છે. મળતી માહિતી મુજબ આ વખતે શંભુજી ઠાકોરના બદલે અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપી શકે છે. જો કે થોડા દિવસ પહેલા પાલનપુરમાં ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી હું ચૂંટણી લડવાનો છું. તેમણે ભાજપ 150થી વધુ સીટો સાથે જીતશે તેવો દાવો પણ કર્યો હતો.