Vadodara News: વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો.
આ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, આ ઘટનાની અમે ગંભીર રીતે તપાસ કરવાના છીએ. પહેલા તો જે લોકો અસરગ્રસ્ત થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના. તમને જણાવી દઈએ કે, બોટ પલટી મારી જતા 9 વિદ્યાર્થીઓના મોત થયા છે. 2 શિક્ષકોના મોતની પણ આશંકા જણાઈ રહી છે. કુલ 23 બાળકો અને 4 શિક્ષકો સવાર હતા.
લોકોના જીવનો કોઈ મૂલ્ય નથી?
ગુજરાતના વડોદરામાં મોરબીવાળી થઈ છે. સ્કૂલના છાત્રોવાળી એક બોટ તળાવમાં પલટી મારી ગઈ છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થઈ ગયા છે અને તાત્કાલિક રેસ્ક્યૂ કામગિરી કરવાના આદેશો પણ આપ્યા છે. તથા આ ઘટના પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. X પર લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.