કુકરવાડા ( કમલેશ પટેલ ): હાલમાં એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાત કંઈક એવી છે કે કોંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરુખ ખાનના લગ્ન પ્રસંગમાં દુખદ ઘટના ઘટી છે. એક આખેઆખું સવાલા ગામ આ લગ્નમાં હાજર રહ્યું હતું અને જેમાં લોકોને ફૂડ-પોઇઝનિંગની તકલીફ પડી ગઈ છે. લગ્ન પ્રસંગમાં નોનવેજ ખાધા બાદ હાજર ગ્રામજનોને ઝાડા-ઊલટી થયા છે. આંકડો કહે છે કે એકસાથે 1200થી વધુ લોકો આ ફુ઼ડ-પોઈઝનિંગની ઝપેટમાં આવી ગયા છે. સાથે જ છ ગામની હોસ્પિટલો પણ હવે દર્દીઓથી છલકાઈ ગઈ છે.
જો વિગતે આ ઘટનાની વાત કરીએ તો વિસનગર, મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર અને ગાંધીનગર સિવિલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી છે. બનાવની જાણ થતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતનો સ્ટાફ રાત્રે 3.30 વાગ્યે વિસનગર પહોંચ્યો હોવાની પણ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટરર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. ભોજન લેતાં જ 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ-પોઇઝનિંગ થઈ જતાં તાત્કાલિક જે વાહન મળ્યાં એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સાથે જ આ વાતને ગંભીરતાથી લઈને મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, મહેસાણા એસપી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આરોગ્યતંત્રને ત્યાંથી જે વિગતો મળે છે એ અનુસાર જો વાત કરવામાં આવે તો વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઊંઝા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50, અમદાવાદ સિવિલમાં 12, ગાંધીનગર સિવિલમાં 32 મળી કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.