Health News: ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયાને 30 જાન્યુઆરીએ ચાર વર્ષ પૂરા થયા છે. કોરીના હવે ભલે ‘સામાન્ય’ બની ગયો હોય પરંતુ તેની આડઅસર આજે પણ અનેક લોકોમાં જોવા મળી રહી છે. જેમાં એક કાને બહેરાશના કેસ વધવાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના યુવાનોમાં એક કાને બહેરાશ ધરાવતા કેસમાં છેલ્લા કેટલાક વર્ષથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.
બ્રિટનના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં પણ સામે આવ્યું હતું કે કોવિડ બાદ સાંભળવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ છે. ડોક્ટરોના મતે ખૂબ જ ગંભીર કોવિડ હોય તેમને થ્રોમ્બોસિસ થાય છે. જે ધીરે-ધીરે શરીરના કોઈ પણ અવયવમાં પહોંચીને ત્યાં રક્તપ્રવાહની કામગીરી અટકાવી શકે છે. જેના કારણે પણ એક ભાગની શ્રવણશક્તિ ક્ષીણ પડી હોવાના કેસ જોવા મળે છે. આ ઉપરાંત અદ્યતન જીવનશૈલી પણ એક કાને બહેરાશ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ અંગે સોલા સિવિલ હોસ્પિટલનાં ઈએનટી વિભાગનાં વડા ડૉ. નીના ભાલોડિયાએ જણાવ્યું કે, ‘થોડા વર્ષ અગાઉ એક કાને બહેરાશ આવી ગઈ હોય તેવા 6 મહિને માંડ 1 દર્દી આવતા હતા. પરંતુ હવે મહિને 15થી 20 દર્દી આવે છે અને તેમાંથી મોટાભાગના યુવાનો હોય છે. એક કાને બહેરાશ આવવા માટે કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડ ફોનનો વધારે ઉપયોગ, હેન્ડ્રુન્ડ્સ ફ્રીથી ભારે વોલ્યૂમ સાથે મૂવી જોવું-મ્યુઝિક સાંભળવું જેવી બાબતનો સમાવેશ થાય છે.
એક કાને બહેરાશ આવી ગઇ છે તેવી ઘણાને ખૂબ જ મોડેથી ખ્યાલ આવે છે કે તેમને એક કાને બહેરાશ આવી છે. આ ઉપરાંત બહેરાશ આવી ગઇ છે તેવી લોકો મજાક ઉડાવશે તેવા સંકોચથી પણ અનેક લોકો સમયસર સારવાર માટે આવતા નથી. જેમ આંખ નબળી પડે તો ચશ્મા પહેરીએ છીએ તેમ શ્રવણશક્તિ નબળી પડે અને તેને લઈને સંકોચ રાખવો જોઈએ નહીં. પરંતુ એ વાત ચોક્કસ છે કે, દરેક વ્યક્તિએ હેન્ડ્સ ફ્રી-બ્લ્યૂથમાં વધારે વોલ્યૂમનો ઉપયોગ ટાળવો જોઈએ.
તેનાથી શ્રવણ શક્તિને નુકસાન પહોંચે છે. શ્રવણ શક્તિ નબળી પડવાથી ઘણા લોકોને વાહન ચલાવતી વખતે કોઇ પાછળથી હોર્ન વગાડતું હોય તો તે પણ સંભળાતું નથી, જેના કારણે તેના અકસ્માતનું પણ જોખમ રહે છે. કોઈ પણ વ્યક્તિને ઓછું સંભળાઇ રહ્યું તેમ લાગે તો તુરંત જ કાનના ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.