કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થતા ચાર લોકોના મોત થયા છે. સેના, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને એરફોર્સની મદદથી 12 કલાકના બચાવ અભિયાન બાદ રવિવારે કાટમાળમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બે લોકોને બચાવી લેવાયા છે. તેમની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લદ્દાખના એલજીએ તપાસના આદેશ આપ્યા છે.
લદ્દાખના નુબ્રા સબ-ડિવિઝનમાં બનેલા પુલનો એક ભાગ શનિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. ત્યાં કામ કરતા 6 લોકો તેના કાટમાળ નીચે દટાયા હતા જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો હતો. આ પુલ લેહ જિલ્લાના ડિસ્કિત ગામમાં બની રહ્યો હતો. અધિકારીઓએ આ દુર્ઘટનાનું કારણ તેજ પવનો ગણાવ્યા છે. પુલનો એક ભાગ ધરાશાયી થયા બાદ બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. લદ્દાખના એલજી આરકે માથુર પોતે બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 12 કલાકના બચાવ કાર્ય પછી રવિવારે કાટમાળ નીચેથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બે લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોના નામ કોકી કુમાર (રાજૌરી) અને રાજ કુમાર (છત્તીસગઢ) છે. મૃત્યુ પામેલા લોકોમાં રાજકુમાર અને વરિન્દર જમ્મુ-કાશ્મીરના રાજૌરીના રહેવાસી હતા. આ સિવાય છત્તીસગઢના મનજીત અને પંજાબના લવ કુમારનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
રાહત અને બચાવ કામગીરી માટે લદ્દાખના ડિવિઝનલ કમિશનર સૌગતા બિસ્વાસ દળો સાથે સંકલન કરી રહ્યા હતા. પ્રવક્તાના જણાવ્યા અનુસાર બચાવમાં સેનાની સ્થાનિક 102 બ્રિગેડ, પ્રોજેક્ટ વિનાયકના BRO કર્મચારીઓ અને એરફોર્સના જવાનોની પણ મદદ લેવામાં આવી હતી.