મહારાષ્ટ્રના નાગપુરની એક મહિલાના વિવાહ ત્યાંના જ એક યુવક સાથે થયા હતા. થોડા વર્ષો પછી મહિલાના મોબાઇલ પર કોઇ અન્ય યુવકનો મિસ કોલ આવ્યો અને મહિલા તેની સાથે વાત કરવા લાગી. ત્યાર બાદ ધીરે ધીરે મહિલા યુવકના પ્રેમમાં પડી હતી. તેણે પોતાના પતિને છોડીને બીજા લગ્ન કરી લીધા હતા. થોડા દિવસો બાદ મહિલાની અન્ય એક યુવક સાથે ઓળખ થઇ અને તેના માટે તેણે પોતાના બીજા પતિને પણ છોડી દીધો હતો. હવે મહિલા આ ત્રીજા યુવક સાથે રહેવા લાગી છે. જેથી મહિલાના પહેલા અને બીજા કથિત પતિએ નાગપુર પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે.
નાગપુર પોલીસના મહિલા ભરોસા સેલના સિનિયર ઇન્સ્પેક્ટર સીમા સુર્વેએ જણાવ્યું હતું કે, બે વ્યક્તિઓ ફરિયાદ લઈને આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આખો મામલો ખુલીને સામે આવ્યો હતો. તેમની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણકારી અનુસાર નાગપુરના વઠોડામાં રહેતો ૨૫ વર્ષીય ધીરજ મિસ્ત્રીનું કામ કરે છે. ૧૮ વર્ષીય લલિતા (નામ બદલ્યું છે) તેની મોટી બહેન સાથે તેના ગામથી નાગપુર કામની શોધમાં આવી હતી.
નાગપુરમાં તેની ઓળખાણ ધીરજ સાથે થઈ હતી. બે મહિના બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. ધીરજ અને લલિતાને એક પુત્ર પણ છે. આ દરમિયાન ઔરંગાબાદના રહેવાસી ૨૫ વર્ષીય પવનનો મિસ્ડ કોલ લલિતાના મોબાઇલ પર આવ્યો હતો. બંને વચ્ચે વાતચીત થવા લાગી. અને જાેતજાેતામાં લલિતા પવનને પોતાનું દિલ આપી બેઠી. તેણે પવનને નાગપુર બોલાવ્યો અને પોતાને અપરિણીત ગણાવીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પવન નાગપુરમાં જ કામની શોધમાં હતો.
ત્યારબાદ લલિતાએ પહેલા પતિ ધીરજને કહ્યું કે, તે ગામડે જઈ રહી છે, તેમ કહીને પવન સાથે ચાલી ગઇ હતી. બંનેએ મંદિરમાં જઇને લગ્ન કરી લીધા અને નાગપુરના સોનેગાંવ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. થોડા દિવસ બાદ લલિતાની ઓળખ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સચિન નામના એક યુવક સાથે થઇ હતી. જ્યારે લલિતાનો બીજાે પતિ પવન ઘરે ન હોય ત્યારે સચિન તેના ઘરે આવતો હતો. પછી તેની સાથે ભાગી ગઈ.