પશ્ચિમ બંગાળમાં શિક્ષકોની ભરતીના કૌભાંડમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજીની ધરપકડ બાદ એક પછી એક સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે. પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજી બોગસ કંપનીઓ ધરાવે છે તેવુ તો ઈડીની તપાસમાં સામે આવ્યુ છે પણ હવે એવી પણ જાણકારી ઈડીને મળી છે કે, આ બંનેના નામે ઓછામાં ઓછા ૫૦ જેટલા બેન્ક એકાઉન્ટ પણ છે. પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજી પાસેથી મળેલી જાણકારી બાદ હવે ઈડી દ્વારા બેન્કો પાસે પણ ડિટેલ માંગવામાં આવી છે.
ઈડી તપાસ કરી રહી છે કે, આ બેન્ક એકાઉન્ટ થકી કાળા નાણાને સફેદ કરવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ હતુ કે કેમ…આ બંને પાસે સંખ્યાબંધ બોગસ કંપનીઓ છે અને તેના થકી થયેલા નાણાકીય વ્યવહારોની પણ ચકાસણી થઈ રહી છે. આ ખાતાઓમાં આઠ કરોડ રુપિયા છે.જે ઈડીએ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અર્પિતા મુખરજીના બે ફ્લેટમાંથી ૫૦ કરોડની કેશ પકડાયા બાદ આ કેસ દેશભરમાં ગાજ્યો હતો અને હાલમાં પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજી ઈડીની કસ્ટડીમાં છે.