Politics News: આબકારી નીતિ સંબંધિત મામલાને લઈને દિલ્હીમાં રાજકીય તાપમાન ઊંચુ છે. આમ આદમી પાર્ટીના નેતાઓનો દાવો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. દરમિયાન દિલ્હીના સીએમ કેજરીવાલ રવિવારે (7 જાન્યુઆરી) ગુજરાતની મુલાકાતે આવશે. તેમનો ગુજરાત પ્રવાસ બે દિવસ ચાલશે. એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને ત્રણ સમન્સ જારી કર્યા છે. સીએમ કેજરીવાલ હજુ સુધી ED સમક્ષ હાજર થયા નથી.
સીએમ કેજરીવાલને પહેલું સમન્સ 2 નવેમ્બર 2023ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આ પછી 21 ડિસેમ્બર 2023ના રોજ બીજું સમન્સ જારી કરવામાં આવ્યું હતું. આ પછી ત્રીજું સમન્સ 3 જાન્યુઆરી 2024ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી અને સીએમ કેજરીવાલે EDના સમન્સને ગેરકાયદે ગણાવ્યા હતા.
સીએમ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ શરૂઆતમાં ત્રણ દિવસનો હતો પરંતુ મુખ્યમંત્રીએ આગામી બજેટ સત્ર (6 જાન્યુઆરી) માટે નાણામંત્રી આતિષી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવાની હતી, તેથી આ પ્રવાસ માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે બપોરે વડોદરા એરપોર્ટ પહોંચશે. બંને નેતાઓ નેત્રંગમાં જનસભાને સંબોધશે. આ સાથે સીએમ કેજરીવાલ આવતીકાલે સાંજે 7 વાગે પાર્ટીના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને લઈને બેઠક કરશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે સભા સંબોધશે. 7 જાન્યુઆરીના રોજ બપોરના સમયે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ તેઓ બપોરે 1:00 વાગે નેત્રંગ ખાતે સભા સ્થળ પર પહોંચશે અને સભા સંબોધશે. ત્યારબાદ સાંજે 7:00 વાગે પ્રદેશના આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે.
વડોદરામાં રાત્રી રોકાણ બાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી બીજા દિવસે તારીખ 8 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 11:00 વાગે રાજપીપળા જેલ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લેશે. આ મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.
સોમવારે (8 જાન્યુઆરી) સીએમ કેજરીવાલ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળશે. AAPએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે વસાવા લોકસભાના ઉમેદવાર હશે. વસાવા આદિવાસી ચહેરો છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું હતું અને પાર્ટી પાંચ બેઠકો પર ચૂંટણી જીતવામાં સફળ રહી હતી. જો કે, પાછળથી પાર્ટીને આંચકો લાગ્યો અને તેના એક ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ AAP છોડી દીધી. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.