ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો બુધવારે સત્તાધારી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. 40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને ત્રણ થઈ ગયું છે. ભાજપમાં જોડાયેલા નેતાઓમાં હાલ વિપક્ષના નેતા માઈકલ લોબોનો પણ સમાવેશ થાય છે. હવે દિગંબર કામતે ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જાહેર કર્યું છે. તેમના કહેવા મુજબ તેઓ ભગવાનને પૂછીને ભાજપમાં જોડાયા છે. સમાચાર એજન્સી ANI દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં કામતે કહ્યું, “હું મંદિરમાં ગયો અને દેવતાઓને પૂછ્યું કે આ (ભાજપમાં જોડાવું) મારા મગજમાં ચાલી રહ્યું છે. મારે શું કરવું જોઈએ… ભગવાને કહ્યું, આગળ વધો અને ચિંતા ન કરો. ”
રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પહેલા, ગોવાના કોંગ્રેસના નેતાઓએ મંદિરો, મસ્જિદો અને ચર્ચોમાં પાર્ટીને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ 7 મહિનામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. હવે ભાજપમાં જોડાવા અંગે દિગંબર કામતે કહ્યું છે કે ભાજપમાં જોડાતા પહેલા તેમણે ભગવાનને પૂછ્યું હતું અને તેમણે હા પાડી છે. ગોવાના પૂર્વ સીએમએ કહ્યું કે તેઓ ભગવાનમાં માને છે અને એ વાત પણ સાચી છે કે તેમણે ચૂંટણી પહેલા કોંગ્રેસ ન છોડવાના શપથ લીધા હતા. વર્ષ 2019માં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટી બદલી હતી. આ કારણથી ગોવાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.
Goa | I went to a temple, asked Gods & Goddesses that this (joining BJP) is in my mind, what should I do… God said, you go ahead, don't worry: Former Congress MLA Digambar Kamat, after joining BJP (14.09) pic.twitter.com/Nne2X9Q3zI
— ANI (@ANI) September 15, 2022
ગોવા વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ત્રણ થઈ ગયા બાદ હવે કોઈપણ રાજકીય પક્ષ પાસે વિપક્ષના પદ પર દાવો કરવા લાયક ધારાસભ્યો નથી. વિધાનસભા અધ્યક્ષ રમેશ તવકરે કહ્યું કે તેમણે કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં વિલય કરવાના કોંગ્રેસના ધારાસભ્યોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 40 સભ્યોની ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ માટે પાર્ટી પાસે ઓછામાં ઓછા ચાર ધારાસભ્યો હોવા જરૂરી છે. આમ આદમી પાર્ટી પાસે બે ધારાસભ્યો છે જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી અને રિવોલ્યુશનરી ગોવા પાર્ટી પાસે એક-એક ધારાસભ્ય છે.
બીજી બાજુ, ગોવામાં કોંગ્રેસે તેના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા પછી આક્ષેપ કર્યો હતો કે ભાજપ ‘ભારત જોડો યાત્રા’ની સફળતાથી હતાશ છે અને આ યાત્રા પરથી ધ્યાન હટાવવા માટે ‘ઓપરેશન કાદવ’ શરૂ કરવામાં આવ્યું હતું. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ ભાજપની આ “વ્યર્થ યુક્તિઓ” ને પાર કરી શકશે. કોંગ્રેસ છોડનારા આઠ ધારાસભ્યોમાં દિગંબર કામત, માઈકલ લોબો, ડેલીલા લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમોનકર, એલેક્સિયો સિક્વેરા અને રૂડોલ્ફ ફર્નાન્ડિસનો સમાવેશ થાય છે.