જ્ઞાનવાપી કેસ: વારાણસી જિલ્લા કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ થઈ. ભોંયરામાં છ મૂર્તિઓ રાખવામાં આવી છે. આ મૂર્તિઓ જ્ઞાનવાપીના ASI સર્વે દરમિયાન મળી આવી હતી અને હવે વ્યાસ ભોંયરામાં તેની પૂજા કરવામાં આવશે.
વારાણસી જીલ્લા કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ થઈ હતી.નોંધનીય છે કે 1993થી ભોંયરામાં પૂજા કરવા પર પ્રતિબંધ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં શિવલિંગની સાથે ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, માતા લક્ષ્મી, રામભક્ત હનુમાન અને મગરની મૂર્તિઓ રાખવામાં આવી છે.
જ્ઞાનવાપીના ભોંયરામાં બુધવારે રાત્રે 12.30 કલાકે પૂજાનો પ્રારંભ થયો હતો. સૌ પ્રથમ, જ્ઞાનવાપીના ભોંયરાને વૈદિક મંત્રો સાથે ગંગા જળથી શુદ્ધ કરવામાં આવ્યો. જે બાદ ભોંયરાના થાંભલા પરના ડ્રોઈંગની સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાં રાખેલા શિવલિંગની સફાઈ કરવામાં આવી. ત્યારબાદ ફૂલ અને બેલપત્ર ના પાનથી ભગવાનની પૂજા કરવામાં આવી હતી.
મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ અનુસાર, જ્ઞાનવાપીમાં દિવસમાં 5 વખત આરતી કરવામાં આવશે. દરરોજ સવારે 3.30 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે ભોગ આરતી કરવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિરમાં રાત્રે 10.30 કલાકે શયન આરતી થશે.
કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા પછી, ભક્તો હવે જ્ઞાનવાપીના દક્ષિણ ભોંયરામાં દેવતાના સતત દર્શન કરી રહ્યા છે. હાલમાં ભક્તો માત્ર ઝાંખીના દર્શન કરી શકે છે. લગભગ 31 વર્ષ બાદ ત્યાં પૂજા-અર્ચના અને દર્શન થતાં ભક્તોમાં ખુશીનો માહોલ છે.