કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી આજે હંગેરીથી ભારત પરત ફર્યા. ઓપરેશન ગંગા હેઠળ તેમણે હંગેરીના બુડાપેસ્ટથી 6711 ભારતીયોને બચાવ્યા. આ બચાવાયેલા ભારતીયોની છેલ્લી બેચ સાથે તે આજે ભારત પરત ફર્યો હતા. ટ્વિટર પર ખુશી વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીએ લખ્યું, ‘બુડાપેસ્ટથી 6711 વિદ્યાર્થીઓની અમારી છેલ્લી બેચ સાથે દિલ્હી પહોંચીને ખૂબ જ આનંદ થયો.
આગળ તેમણે લખ્યુ કે જ્યારે આ યુવકો તેમના ઘરે પહોંચશે અને ટૂંક સમયમાં તેમના માતા-પિતા અને પરિવાર સાથે હશે, ત્યારે તેમના ઘરમાં ખુશી, ઉત્સાહ અને રાહતનો માહોલ જોવા મળશે.મળતી માહિતી મુજબ યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે. ત્યાં સ્થિતિ બગડતી જોઈને કેન્દ્ર સરકારે ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું હતું.
આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 કેન્દ્રીય મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, હરદીપ સિંહ પુરી, કિરેન રિજિજુ અને વીકે સિંહને હંગેરી, રોમાનિયા, સ્લોવાકિયા અને પોલેન્ડ મોકલ્યા હતા. આ દેશો યુક્રેનને અડીને આવેલા છે. આ મંત્રીઓની જવાબદારી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને આ દેશોની સરહદોમાંથી બહાર ભારત મોકલવાની હતી. વી.કે સિંઘે પોલેન્ડમાં જ્યારે હરદીપ સિંહ પુરીએ હંગેરીમાં કમાન સંભાળી હતી.
આ સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા માટે જવાબદાર હતા, જ્યારે કિરેન રિજિજુ સ્લોવાકિયામાંથી ભારતીયોને બહાર કાઢી રહ્યા હતા. યુક્રેનમાંથી ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના હિંડન એરબેઝ પરથી વિશેષ વિમાનો મોકલીને પણ ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે.