Uttarakhand Rains Updates: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ (Very Heavy Rainfall) અને ભૂસ્ખલનના (Landslide) કારણે થયેલી તબાહીના કારણે અત્યાર સુધીમાં 51 લોકોના મોત થયા છે. જેમાંથી 14 લોકોના મોત શિમલામાં ભૂસ્ખલનના કારણે થયા છે. રાજ્યમાં કુદરતી આફતોને કારણે થતા મૃત્યુની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. ભૂસ્ખલનને કારણે રાજ્યના અનેક મુખ્ય માર્ગો અવરોધિત થયા હતા, મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને અનેક શ્રદ્ધાળુઓ શિમલાના એક મંદિરમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. એકલા શિમલામાં જ ભૂસ્ખલનના બે સ્થળેથી 14 મૃતદેહો મળી આવ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સમર હિલ વિસ્તારમાં આવેલા શિવ મંદિરના કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોઈ શકે છે.
ભૂસ્ખલન થયું ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ હતી, જે સાવનના સોમવારે ભગવાન શિવના દર્શન કરવા પહોંચ્યા હતા. મંડી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં હતાં. હિમાચલ પ્રદેશમાં સ્થાનિક હવામાન વિભાગે 17 ઓગસ્ટ સુધી અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ, તોફાન અને વીજળી પડવાનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અવિરત વરસાદ વચ્ચે રાજ્ય સરકારે પરીક્ષાઓ પણ રદ કરી દીધી હતી અને શાળા-કોલેજો બંધ રહેશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 50થી વધુ લોકોના મોત થયા છે. હજુ પણ 20થી વધુ લોકો ફસાયેલા છે, મોતનો આંકડો વધી શકે છે. શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં સ્વતંત્રતા દિવસ પર કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગે (IMD)આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દહેરાદૂન, પૌડી, ટિહરી, નૈનિતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગરમાં અલગ અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદના કારણે ઋષિકેશની આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને ગંગા નદીનું જળસ્તર વધી ગયું છે. એસ.ડી.આર.એફ.ની ટીમો તમામ સ્થળોએ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. ચમોલીની નગર પંચાયતમાં માયાપુર, ભારે વરસાદના કારણે પીપલકોટીને ઘણું નુકસાન થયું છે. પીપલકોટીમાં પહાડ પરથી ભારે કાટમાળ આવતા અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
સીએમ ધામીએ ઋષિકેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઋષિકેશમાં પૂર પ્રભાવિત વિસ્તારો અને ગંગા નદીના વધતા જળસ્તરનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પૌડી ગઢવાલમાં સતત વરસાદને કારણે અલકનંદા નદી ઓવરફ્લો થઇ રહી છે. ચમોલીમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે પર માયાપુરમાં પહાડ પરથી કાટમાળ નીચે અનેક વાહનો દબાઈ ગયા હતા. પૌડી જિલ્લાના મોહનચટ્ટીમાં ભારે વરસાદને કારણે એક રિસોર્ટ ધરાશાયી થયો હતો જેમાં 5 લોકો દટાયા હતા. આ તમામ લોકો હરિયાણાના કુરુક્ષેત્રના છે. પોલીસ અને એસડીઆરએફએ ઘટના સ્થળે જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.