Indian Railways: ભારતીય રેલવેને (Indian Railways) દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. હાલમાં ભારતીય રેલવેમાં (Indian Railways) 7500થી વધુ રેલવે સ્ટેશન છે, જેના માધ્યમથી દરરોજ 13 હજારથી વધુ પેસેન્જર ટ્રેન (Passenger train) પસાર થાય છે. આ સિવાય ત્યાંથી પસાર થતી માલવાહક ટ્રેનોની સંખ્યા અલગ અલગ છે. સાથે જ પેસેન્જર ટ્રેનોના માધ્યમથી રોજ લાખો મુસાફરો મુસાફરી કરીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે.
આ તમામ આંકડાઓ સાથે ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું અને એશિયાનું બીજા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. રેલવેની ઘણી સુવિધાઓ વિશે તમે વાંચ્યું અને સાંભળ્યું હશે. જો કે શું તમે જાણો છો કે ભારતીય રેલવે તરફથી પણ એક એવી સુવિધા છે કે તમે એક જ ટિકિટ પર 56 દિવસ સુધીની મુસાફરી કરી શકો છો અને આ માટે તમારે વારંવાર ટિકિટ ખરીદવાની જરૂર નથી. આ લેખ દ્વારા આપણે ભારતીય રેલ્વેની આ સુવિધા વિશે જાણીશું.
શું છે રેલવેની આ અનોખી સુવિધા?
ભારતીય રેલવે દ્વારા આપવામાં આવતી આ સુવિધાને સર્ક્યુલર ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આ અંતર્ગત હવે મુસાફરોને કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર 56 દિવસ સુધી ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સર્ક્યુલર ટ્રાવેલ એટલે શું?
આ સુવિધાનો લાભ લેવા માટે તમારે રેલવે પાસેથી કન્ફર્મ ટિકિટ ખરીદવી પડશે. આ ટિકિટ સર્ક્યુલર ટ્રાવેલ માટે હોવી જોઈએ. આ પછી, તમે 56 દિવસ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. હવે સવાલ એ છે કે આ સુવિધામાં 56 દિવસની યાત્રા કેવી રીતે કરી શકાય. ઉદાહરણ તરીકે ધારો કે જમ્મુથી યાત્રા શરૂ કરવી પડશે અને કન્યાકુમારી જવું પડશે.
સાથે જ તમે પણ આ રૂટમાં આવતા અલગ અલગ રાજ્યોની યાત્રા કરવા માંગો છો, જેથી તમે આ યાત્રાની વચ્ચે જ ટ્રેનમાંથી ઉતરી શકો છો. જો કે આ માટે તમારે રેલવેને અગાઉથી જાણ કરવી પડશે, ત્યારબાદ તમે ફરીથી ટિકિટ ખરીદ્યા વગર આ સુવિધાનો લાભ લઇ શકો છો.
ક્યાંથી મળશે ટિકિટ
આ સુવિધા હેઠળ તમને ઓનલાઇન ટિકિટ નહીં મળે, પરંતુ તમારે રેલવેના નજીકના સેન્ટર સુધી પહોંચીને ટિકિટ મેળવવી પડશે. આ સમય દરમિયાન તમારે જણાવવું પડશે કે તમે કયા શહેરથી તમારી યાત્રા શરૂ કરશો અને કયા શહેરમાં તમે વચ્ચે ઉતરશો અને પછી ફરી ક્યારે યાત્રા શરૂ કરશો. આ તમામ વિગતો આપ્યા બાદ તમારી ટિકિટ તૈયાર થઇ જશે, જે અંતર્ગત તમે તમારી યાત્રા શરૂ કરી શકો છો.