અમેરિકાના કેલિફોર્નિયામાં એક બગીચામાંથી અપહરણ કરાયેલા શીખ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. મૂળ પંજાબના હોશિયારપુરના હરસી પિંડના આ પરિવારનું સોમવારે અપહરણ કરવામાં આવ્યું હતું. મર્સિડ કાઉન્ટીના શેરિફ વર્ને વોર્નેકેએ જણાવ્યું હતું કે આઠ મહિનાની આરુહી ઢેરી, તેની માતા જસલીન કૌર (27), પિતા જસદીપ સિંહ (36) અને જસદીપના ભાઈ અમનદીપ સિંહ (39)ના મૃતદેહ ઇન્ડિયાના રોડ અને હચિન્સન રોડ પાસેના બગીચામાંથી મળી આવ્યા હતા. બુધવારની સાંજે રિકવરી થઈ હતી.
વોર્નેકેએ જણાવ્યું કે બગીચા પાસે ખેતરમાં કામ કરતા એક મજૂરે મૃતદેહો જોયા અને તરત જ અધિકારીઓને જાણ કરી. તમામ મૃતદેહો એક સાથે મળી આવ્યા હતા. વોર્નેકે બુધવારે સાંજે કહ્યું, “હું મારો ગુસ્સો શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.” ,
મર્સિડ કાઉન્ટી શેરિફ ઓફિસે બુધવારે વહેલી સવારે પરિવારના અપહરણનો નવો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં પહેલા જસદીપ અને અમનદીપ બિલ્ડીંગની બહાર નીકળતા જોવા મળે છે અને તેમના હાથ બંધાયેલા છે. આ પછી અપહરણકર્તા જસલીન અને આઠ મહિનાની બાળકીને બહાર લાવતો જોવા મળે છે.
મંગળવારે બપોરે શંકાસ્પદ સાલ્ગાડોને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે હોસ્પિટલમાં દાખલ છે. શેરિફ ઓફિસ અનુસાર શંકાસ્પદના પરિવારે અધિકારીઓને જણાવ્યું કે સાલગાડોએ શીખ પરિવારનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું છે. અમનદીપ સિંહ અને તેનો નાનો ભાઈ જસદીપ સિંહ હોશિયારપુરના હરસી ગામમાંથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને કેલિફોર્નિયામાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવતા હતા.
પોલીસે ચારેયની હત્યા માટે એક શકમંદની અટકાયત કરી હતી અને બળેલી ટ્રક પણ કબજે કરી હતી. પોલીસને શંકા છે કે અપહરણકર્તાએ આગ લગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભગવંત માને કેન્દ્રીય વિદેશ મંત્રીને આ મામલે હસ્તક્ષેપ કરવા અને આ હત્યાની નિષ્પક્ષ તપાસ માટે યુએસએની ફેડરલ સરકાર પર દબાણ લાવવાની અપીલ કરી હતી. સીએમએ કહ્યું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અને તેણે દુનિયાભરમાં વસેલા પંજાબીઓને હચમચાવી દીધા છે. આ ઘાતકી હત્યાએ અમેરિકા જેવા દેશમાં પણ પંજાબીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વિદેશમાં સ્થાયી થયેલા પંજાબીઓના મનમાં સુરક્ષાની ભાવના પેદા કરવી એ સમયની જરૂરિયાત છે. ભારત સરકારે અમેરિકામાં રહેતા પંજાબીઓની સુરક્ષાનો મુદ્દો ત્યાંની સરકાર સાથે ઉઠાવવો જોઈએ. યુએસએમાં રહેતા પંજાબીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે આ બાબતને ટોચની પ્રાથમિકતા પર રાખવી જોઈએ.