તમે અયોધ્યા રામ મંદિરના દર્શન માટે જઇ રહ્યા છો? જાણી લો સામાન્ય લોકો માટે ક્યારે છે એન્ટ્રી, કેટલો હશે ચાર્જ?

Desk Editor
By Desk Editor
Share this Article

Ayodhya Ram mandir News: અયોધ્યાનમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. આ સમારોહમાં પીએમ મોદી સહિત દેશ અને દુનિયાના અનેક મહાનુભાવો હાજર રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય ભક્તો માટે મંદિર ખોલવામાં આવશે. ત્યારે સામાન્ય માણસ ક્યારે ભગવાન રામ મંદિરના દર્શન કરી શકશે? શું કોઈ ફી ભરવાની છે? આરતીનો સમય શું છે? આવો અમે તમને રામ મંદિર સાથે જોડાયેલા આવા તમામ સવાલોના જવાબ જણાવીએ.

પ્રશ્ન: મંદિરનું સંચાલન કોના હાથમાં છે?
જવાબ: રામ મંદિરનું સંચાલન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રસ્ટ મંદિરના નિર્માણ પર પણ નજર રાખી રહ્યું છે. દેશની પ્રખ્યાત કન્સ્ટ્રક્શન કંપની લોર્સમ એન્ડ ટુબ્રો મંદિરના નિર્માણમાં રોકાયેલી છે.

પ્રશ્ન: સામાન્ય માણસ ક્યારે દર્શન કરી શકશે?
જવાબઃ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય ભક્તો બીજા દિવસે એટલે કે 23મી જાન્યુઆરીથી રામલલાના દર્શન કરી શકશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી. બીજા દિવસથી તેમના માટે દરવાજા ખુલી જશે.

પ્રશ્ન: મંદિરમાં દર્શન માટેનો સમય શું છે?
જવાબઃ અયોધ્યામાં રામ મંદિર સામાન્ય ભક્તોના દર્શન માટે સવારે 7:00 થી 11:30 અને ત્યારબાદ બપોરે 2:00થી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર બંધ રહેશે.

પ્રશ્ન: રામ મંદિરમાં આરતીનો સમય શું છે?
જવાબ: રામ મંદિરમાં રામલલાની આરતી દિવસમાં ત્રણ વખત કરવામાં આવે છે. પ્રથમ આરતી સવારે 6:30 વાગ્યે, જેને જાગરણ અથવા શ્રૃંગાર આરતી કહેવામાં આવે છે. બીજી આરતી બપોરે 12:00 કલાકે જેને ભોગ આરતી કહેવામાં આવે છે અને ત્રીજી આરતી સાંજે 7:30 કલાકે જેને સંધ્યા આરતી કહેવામાં આવે છે.

પ્રશ્ન: તમારે રામ મંદિરની આરતીમાં ભાગ લેવો હોય તો કઇ રીત લેશો?
જવાબઃ અયોધ્યાના રામ મંદિરમાં આરતીમાં ભાગ લેવા માટે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકાય છે. પાસ માટે માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) હોવું જરૂરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકશે.

પ્રશ્ન: રામલલાના દર્શન માટે કોઇ ચાર્જ લેવામાં આવશે કે કેમ?
જવાબઃ અયોધ્યાના રામ મંદિરમાં દર્શન મફત છે. રામલલાના દર્શન માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. દિવસમાં ત્રણ વખત આરતી થાય છે, આ માટે પાસ લેવો જરૂરી છે. પાસ ધરાવતા લોકોને જ આરતીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

પ્રશ્નઃ અયોધ્યા કેવી રીતે પહોંચી શકાશે?
જવાબઃ તમે રેલવે, બસ કે હવાઈ માર્ગે અયોધ્યા જઈ શકો છો. અયોધ્યા રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર માત્ર 5 કિલોમીટર છે. ત્યાંથી ઓટો રિક્ષા અથવા ઈ-રિક્ષા વગેરે દ્વારા મંદિર પહોંચી શકાય છે. એ જ રીતે અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટથી મંદિરનું અંતર લગભગ 17 કિમી છે. લખનઉ એરપોર્ટથી રોડ માર્ગે પણ અયોધ્યા જઈ શકાય છે. અંતર લગભગ 160 કિમી છે.

પ્રશ્ન: રામ મંદિરમાં કોની-કોની પ્રતિમા છે?
જવાબઃ અયોધ્યાના નવા રામ મંદિરમાં ચાર ખૂણામાં વધુ ચાર દેવતાઓના મંદિરો છે. જેમાં ભગવાન શિવ, ભગવાન સૂર્ય, માતા ભગવતી અને ભગવાન ગણેશ. આ સિવાય અહીં અન્નપૂર્ણા માતા અને હનુમાનજીનું મંદિર પણ છે.


Share this Article