India News : ભારતમાં ટામેટાંના (Tomatoes)આસમાનને આંબી જતા ભાવ ઘટાડવા માટે નેપાળ (nepal) ટામેટાંની નિકાસ કરવા તૈયાર છે. જો કે, તેણે બજારમાં સરળતાથી પ્રવેશ મેળવવા માટે જરૂરી સુવિધાઓ માંગી છે. પાડોશી દેશે શુક્રવારે કહ્યું કે તે ભારતમાં મોટી માત્રામાં ટામેટાંની નિકાસ કરવા માંગે છે, પરંતુ તેને બજાર અને જરૂરી સુવિધાઓની પહોંચની જરૂર છે.
આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સંસદમાં કહ્યું હતું કે ભારતે નેપાળમાંથી ટામેટાંની આયાત શરૂ કરી દીધી છે. તેના એક દિવસ બાદ પડોશી દેશમાંથી આ માંગ આવી હતી.વાસ્તવમાં ભારતમાં ભારે વરસાદને કારણે સપ્લાયમાં વિક્ષેપ વચ્ચે ટામેટાના ભાવ 242 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા હતા.
નેપાળના કૃષિ મંત્રાલયના પ્રવક્તા શબનમ શિવકોટીએ શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે નેપાળ લાંબા સમયથી ભારતમાં ટામેટાં જેવી શાકભાજીની નિકાસ કરવા આતુર છે, પરંતુ આ માટે ભારતે તેના બજાર અને અન્ય સુવિધાઓ સુધી સરળ પહોંચ પ્રદાન કરવી પડશે. “નેપાળે એક અઠવાડિયા પહેલા જ સત્તાવાર ચેનલો દ્વારા ભારતમાં ટામેટાંની નિકાસ શરૂ કરી દીધી છે, તેમ છતાં તે મોટી માત્રામાં નથી. જો કે ટામેટાંની મોટાપાયે નિકાસની વ્યવસ્થા કરવાની બાકી છે.
ટામેટાં માટે ભારત એક મોટું બજાર છે.
કાલિમતી ફ્રૂટ એન્ડ વેજિટેબલ માર્કેટ ડેવલપમેન્ટ બોર્ડના ડેપ્યુટી ડિરેક્ટર બિન્યા શ્રેષ્ઠાએ આ વાતનું પુનરાવર્તન કરતાં જણાવ્યું હતું કે, “જો અમને ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશ આપવામાં આવે તો નેપાળ ભારતમાં મોટા જથ્થામાં ટામેટાંની નિકાસ કરી શકે છે.”
નેપાળમાં રસ્તા પર ફેંકાયા ટામેટા
તેમણે જણાવ્યું હતું કે, “કાઠમંડુ ખીણના ત્રણ જિલ્લાઓ – કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુરમાં ટામેટાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને આ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં વધુ છે.” તેમણે સ્વીકાર્યું કે કાઠમંડુમાં ઉગાડવામાં આવતા કેટલાક ટામેટાં અનૌપચારિક ચેનલો દ્વારા ભારતીય બજારમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં નેપાળના ખેડૂતો દ્વારા યોગ્ય ભાવ ન મળતા કાઠમાંડૂના કાલીમતી ફળ અને શાકમાર્કેટ પાસે આશરે 60થી 70 હજાર કિલો ટમેટા રસ્તા પર ફેંકવામાં આવ્યા હતા. ત્યારે હોલસેલ બજારમાં ખેડૂતોને 10 રૂપિયે કિલોએ ટામેટાંનો ભાવ પણ મળ્યો ન હતો.
નેપાળે ટામેટાંની નિકાસ શરૂ કરી
જોકે, એક મહિના અગાઉ વેપારીઓએ ગેરકાયદે ચેનલો મારફતે ભારતમાં ટામેટાંની નિકાસ શરૂ કરતાં ટામેટાંના બજારભાવમાં ચાર ગણો વધારો થયો હતો, જેને પગલે સ્થાનિક બજારમાં અછત સર્જાઇ હોવાનું બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું. ટામેટાના અગ્રણી ઉત્પાદકના જણાવ્યા અનુસાર, છૂટક બજારમાં જે ટામેટાં 40-50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા તે વધીને 200-250 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા કારણ કે ખેડૂતોએ અનૌપચારિક ચેનલો દ્વારા ભારતીય બજારમાં ટામેટાંનું વેચાણ શરૂ કર્યું હતું.
90,000 કિલો ટામેટાંની નિકાસ
“અનૌપચારિક ચેનલો દ્વારા ભારતમાં ટામેટાની નિકાસ કર્યા પછી અમને ટામેટાના ભાવ ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળ્યા. ગત મહિને ભારતમાં 70 હજારથી 90 કિલો ટામેટાની નિકાસ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે છેલ્લા એક મહિનામાં તેમના ખેતરમાં ઉગાડવામાં આવતા લગભગ 40,000 કિલો ટામેટાં અનૌપચારિક ચેનલો દ્વારા ભારતમાં નિકાસ કરવામાં આવ્યા છે.
નેપાળના કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરને મળ્યા
જુલાઈમાં તેમની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન, કૃષિ પ્રધાન બેદુરામ ભૂશાલે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર સિંહ તોમર સાથે ટામેટાં સહિત નેપાળી કૃષિ ઉત્પાદનોને ભારતમાં લાવવાની સુવિધા અંગે ચર્ચા કરી હતી. કૃષિ મંત્રાલયના પ્રવક્તા શિવકોટીએ જણાવ્યું હતું કે નેપાળે ભારતીય સત્તાવાળાઓને ટામેટાં, વટાણા અને લીલા મરચાંની નિકાસ માટે ક્વોરેન્ટાઇન અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
તેમણે જણાવ્યું હતું કે, “ભારત સરકારે ભારતમાં નિકાસની સુવિધા માટે નેપાળમાં ઉત્પાદિત ટામેટાં સહિત કેટલાક શાકભાજીને તેની ક્વોરેન્ટાઇન સૂચિમાં સામેલ કર્યા છે.” ભારતમાં ટામેટાંની કિંમતોને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆર, રાજસ્થાન અને યુપીમાં સસ્તા ભાવે એનસીસીએફ દ્વારા ટામેટાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.