ગુજરાત ચુંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે આગામી ચૂંટણીને લઈને રાજ્યની તમામ પાર્ટીઓ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. બંને પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે તેવું જાણવા મળી રહ્યું છે. જેને લઈને આજે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદમાં આપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે તથા ગોપાલ ઈટાલિયા અને મહેશ વસાવાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ સાથે જ તેમણે આગામી ચૂંટણીમાં બીટીપી અને આમ આદમી પાર્ટી કેવી રીતે સાથે રહીને લોકોના મુદ્દા રજૂ કરશે તે અંગે જણાવ્યું હતું.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળની તમામ સરકારો કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વર્ષો સુધી આવતી રહી પરંતુ આદિવાસીઓના પાયાના પ્રશ્નોને વાચા ન મળી. શિક્ષણ, રોજગાર અને જળ-જમીન જંગલ હોય. તેમના પ્રશ્નો આજે પણ ત્યાંને ત્યાં છે. આ તમામ પ્રશ્નોને લઈને આદિવાસી સમાજ લાચાર બન્યો છે. ત્યારે એક નવી દિશામાં આગળ વધીને આદિવાસીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તર પર વાચા મળે, તેના પર ચર્ચા થાય તેવા પ્રયાસોથી BTPના છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા સાથે ચર્ચા થઈ હતી. જ્યારે મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કામ જોયું છે.
દિલ્હીમાં રોજગારીની વાત, પાણીની વાત અને શિક્ષણ વિશે જાણ્યું છે. અમે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે મળ્યા છીએ. આ સરકારે સ્કૂલો બંધ કરીને આદિવાસી સમાજને નુકસાન કર્યું છે. કોંગ્રેસ પણ લોકશાહી બચાવવા આંદોલન કરે છે, પરંતુ તેમની સરકારમાં તેમણે શું કર્યું? ગામડામાં આદિવાસીઓ ઘર છોડી રહ્યા છે. 1લી મેએ AAP અને BTP બંને એક થશે. ગુજરાત સ્થાપના દિવસે અમે નવા ગુજરાતનું મોડલ આપીશું.
થોડા દિવસ પહેલા છોટુ વસાવા-કેજરીવાલની મુલાકાત થઈ હતી નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ છોટુ વસાવાએ દિલ્લહીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે થોડા દિવસો પહેલા મુલાકાત પણ કરી હતી. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે બીટીપી પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ એએપીમાં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને બીટીપી વચ્ચેની બેઠક બાદ બન્ને પક્ષ વચ્ચે ગઠબંધન થવાની શક્યતાએ વધુ જોર પકડ્યુ હતું. વર્ષ 2021માં ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટુ વસાવા અને મહેશ વસાવાની પાર્ટી બીટીપીએ અસદુદ્દીન ઔવેસીની સાથે ગઠબંધન કર્યું હતું. જો કે, બંને પાર્ટીને કોઈ ખાસ સફળતા મળી ન હતી.