વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે. અહીં તેઓ અનેક વિકાસ કાર્યક્રમોમાં ભાગ લેશે અને અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ પ્રવાસમાં સાત નવી કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે દીપુમાં આયોજિત રેલી દરમિયાન વડાપ્રધાને આસામના લોકોને જણાવ્યું ,કે ડબલ એન્જિનની સરકાર જ્યાં પણ હોય, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે આજે કાર્બી આંગલોંગની આ ધરતી પર આ સંકલ્પ ફરી મજબૂત બન્યો છે. આસામની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેને પાર પાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે મને જ્યારે પણ અહીં આવવાનો મોકો મળ્યો છે, ત્યારે મને લોકો તરફથી અપાર સ્નેહ અને પ્રેમ મળ્યો છે. આ સાથે, રાજ્ય સરકારે પીએમ મોદીની આ મુલાકાત માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આ એક સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આપણે પણ આ ધરતીના મહાન સપૂત લચિત બોરફુકનની 400મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. તેમનું જીવન દેશભક્તિ અને રાષ્ટ્રીય શક્તિની પ્રેરણા છે. તેમણે કહ્યું કે હું કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને નમન કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્બી આંગલોંગમાં માંજા વેટરનરી કોલેજ, વેસ્ટ કાર્બી આંગલોંગ એગ્રીકલ્ચર કોલેજ, અમ્પાની વેસ્ટ કાર્બી આંગલોંગ સરકારી કોલેજ સહિત અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે અહીં 1,000 કરોડ રૂપિયાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ સંસ્થાઓ અહીંના યુવાનોને નવી તકો આપશે. આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તે માત્ર ઈમારતનો શિલાન્યાસ નથી, પણ મારી યુવાનીનો શિલાન્યાસ છે.
પીએમ મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યપ્રધાન હેમંત બિસ્વા સરમાએ જાતે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય પ્રધાને તૈયારીની સમીક્ષા કરવા ડિબ્રુગઢ અને કાર્બી આંગલોંગ જિલ્લાની બે વાર મુલાકાત લીધી છે. બંને જિલ્લાઓમાં શાળા, કોલેજો અને રાજ્ય સરકારની કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન ગુરુવારે સવારે 11 વાગ્યે નાગાલેન્ડના દીમાપુર એરપોર્ટ પર પહોંચવાના છે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા આસામના કાર્બી આંગલોંગ જિલ્લા માટે રવાના થશે.