India News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) સંસદમાં ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા છે. લોકસભા સચિવાલય દ્વારા આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજાને રદ્દ કરી દીધી છે. આ સાથે જ સંસદમાં તેમની વાપસીનો રસ્તો સાફ થઈ ગયો. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ કેરળના વાયનાડથી જીત્યા હતા.
23 માર્ચના રોજ ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં (Defamation cases) બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. 134 દિવસ બાદ SCએ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી.
ખડગેએ કહ્યું- દેશ માટે આ રાહતની વાત છે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) કહ્યું, “રાહુલ ગાંધીની સદસ્યતા પુન:સ્થાપિત કરવાનો નિર્ણય આવકારદાયક પગલું છે. આ ભારતના લોકો અને ખાસ કરીને વાયનાડના લોકો માટે રાહતની વાત છે. ભાજપ અને મોદી સરકારે તેમના કાર્યકાળનો જે પણ સમય બચ્યો હોય તેનો ઉપયોગ વિપક્ષી નેતાઓને નિશાન બનાવીને લોકતંત્રને બદનામ કરવાને બદલે વાસ્તવિક શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવો જોઈએ.
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ (Prahlad Joshi) કહ્યું કે, “સ્પીકરે આજે નિર્ણય લીધો છે. અમે કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને સુપ્રીમ કોર્ટનો આદેશ મળ્યા પછી તરત જ સભ્યપદ પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું.
રાહુલે 2019માં આપ્યું હતું નિવેદન
13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સમાન અટક કેમ છે? ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે ગાંધીએ 2019 માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, તમામ ચોરોની અટક તરીકે મોદી કેમ છે, એમ કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો. ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી તેમની સામે બદનક્ષીના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
રાહુલની સદસ્યતા રદ કરવામાં આવી
કોર્ટ દ્વારા દોષિત ઠર્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં લોકપ્રતિનિધિત્વ કાયદામાં એવી જોગવાઈ છે કે જો કોઈ કેસમાં સાંસદ અને ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું (સંસદ અને વિધાનસભામાંથી) સભ્યપદ રદ કરવામાં આવે છે. એટલું જ નહીં સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય ઠરે છે.