કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, “મહિલાઓને તેમને અનુકુળ હોય એવા કપડાં પહેરવાનો અધિકાર છે, જે તેમને બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે. પછી તે બિકીની હોય, બુરખો હોય, જીન્સ હોય કે હિજાબ હોય. તે મહિલાનો અધિકાર છે કે તે જે પહેરવા માંગે તે પહેરે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો.”
હવે અભિનેત્રી શર્લિન ચોપરાએ પ્રિયંકા ગાંધીના આ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. શર્લિને પ્રિયંકા ગાંધીના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું, “શ્રીમતી વાડ્રા. ભારતીય બંધારણ વિશેની તમારી સમજ મુજબ, શું છોકરીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં બિકીની પહેરવાની છૂટ છે? જો હા, તો કેવા પ્રકારની? માઇક્રો-બિકીની અથવા સી-થ્રુ બિકીની? મારી પાસે ઘણી બધી છે. તેને દાન કરવામાં મને આનંદ થશે.
કર્ણાટકની શાળા-કોલેજોમાં ધાર્મિક પોશાક પર પ્રતિબંધ લગાવવાના આદેશ બાદ હંગામો મચી ગયો છે. ઘણા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓના જૂથો સામસામે આવી ગયા છે. પથ્થરમારાની ઘટનાઓ પણ બની છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ હિજાબ પરના પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઘણા હિન્દુ વિદ્યાર્થીઓ કેસરી મોજા અને દુપટ્ટા પહેરીને કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્થિતિને જોતા કર્ણાટક સરકારે 3 દિવસ માટે શાળા અને કોલેજો બંધ કરી દીધી છે.
આજે ઉડુપી, શિવમોગા, બાગલકોટ અને કર્ણાટકના અન્ય ભાગોમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબના સમર્થનમાં અને તેની વિરુદ્ધમાં પ્રદર્શનો થયા બાદ તણાવ વધી ગયો હતો. આ પછી પોલીસ અને પ્રશાસનને દરમિયાનગીરી કરવી પડી હતી. શિવમોગામાં પથ્થરમારો બાદ કલમ 144 પણ લાગુ કરવામાં આવી હતી. આ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે.