ઉત્તરાખંડના રૂડકી રેલ્વે સ્ટેશનના અધિક્ષકને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લક્સર, નજીબાબાદ, દેહરાદૂન, રૂડકી, ઋષિકેશ અને હરિદ્વાર રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યો પત્ર મોકલનારે પોતાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર સલીમ અંસારી ગણાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રૂડકી રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને એક ધમકીભર્યો પત્ર મળ્યો, જે ખૂબ જ તૂટેલી હિન્દીમાં લખાયેલો છે. જેમાં ઉત્તરાખંડના ૬ રેલવે સ્ટેશનોની સાથે હરિદ્વારમાં મનશા દેવી, ચંડી દેવી અને અન્ય ધાર્મિક સ્થળોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્રમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.
આ સંદર્ભે ઉત્તરાખંડના રેલ્વે સ્ટેશનો સહિત અગ્રણી સ્થળોએ તકેદારી વધારી દેવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓને આ પત્ર અંગે જાણ કરવામાં આવી છે. તે જ સમયે, પોલીસ પત્ર મોકલનારની માહિતી મેળવવામાં વ્યસ્ત છે. સૂત્રોનું માનીએ તો પોલીસ ભૂતકાળમાં મળેલા આવા ધમકીભર્યા પત્રોની હેન્ડરાઈટિંગ સાથે મેચ કરી રહી છે.
જણાવી દઈએ કે રૂડકી રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને એપ્રિલ ૨૦૧૯માં આવો ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જાેકે, અગાઉ મળેલા પત્રોની જેમ આ પણ કોઇ તોફાની વ્યક્તિનું કારસ્તાન હોય શકે છે. પરંતુ સંવેદનશીલ બાબતને કારણે પોલીસ એલર્ટ મોડમાં છે. મોડી રાત સુધી રેલવે અને પોલીસ અધિકારીઓએ આ અંગે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. રૂરકી જીઆરપીના કાર્યકારી પોલીસ સ્ટેશન મમતા ગોલાએ કહ્યું કે, પત્ર મળવાની માહિતી મળી છે.