આસામના બારપેટા જિલ્લાની એક મહિલાને ત્રણ વર્ષ બાદ તેનું ખોવાયેલ બાળક મળી આવ્યું છે. ડીએનએ ટેસ્ટ નક્કી કરે છે કે બાળકના સાચા માતા-પિતા કોણ છે. મહિલાએ 2019માં બાળકને જન્મ આપ્યો હતો. બીજા દિવસે તેણીને સમાચાર મળ્યા કે તેણીના બાળકનુ મૃત્યુ થયું. આ જ ઉંમરના અન્ય એક બાળકનું મૃત્યુ થયું હતું. નર્સે ભૂલથી મૃત બાળકને તે મહિલાનુ બાળક ગણાવ્યુ અને જીવિત બાળક બીજી મહિલાને આપી દીધું હતું.
આ સમગ્ર ગેરસમજ બંને મહિલાઓના નામમાં સમાનતાને કારણે થઈ હતી. નજમા ખાનુમ નામની મહિલાએ 3 માર્ચ 2019ના રોજ ફખરુદ્દીન અલી અહેમદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હતું, પરંતુ જ્યારે સ્થિતિ નાજુક બની ત્યારે નજમા ખાનુમને આઈસીયુમાં મોકલવામાં આવી હતી અને બાળક બેબી રૂમમાં હતું.
તે દિવસે બીજી નજમા ખાતૂન નામની મહિલા તેના નવજાત બાળકને આ હોસ્પિટલમાં લઈ આવી હતી. બંને બાળકોની ઉંમર એક દિવસની હતી. નજમા ખાતુનના બાળકની હાલત નાજુક હતી અને તેનું મોત થયું હતું. નર્સે ભૂલથી તેને નજમા ખાનુમનું બાળક આપી દીધું અને નજમા ખાતુનનું મૃત બાળક નજમા ખાનુમનું હોવાનું કહ્યું. નજમા ખાનુમ અને તેના પતિને વિશ્વાસ ન હતો કે તેમનું સ્વસ્થ બાળક કેવી રીતે મરી શકે. તેણે હોસ્પિટલ વિરુદ્ધ બારપેટા સદર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ગોસાઈગાંવની નજમા ખાતૂન તે જ દિવસે પોતાના બાળક સાથે હોસ્પિટલમાં આવી હતી. બાળકીની હાલત નાજુક હોવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ફરજ પરની નર્સે આકસ્મિક રીતે બાળકોની એક બદલી કરી હતી. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે બાળકના અસલી માતા-પિતાની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. ડીએનએ ટેસ્ટમાં ખબર પડી કે બાળકની અસલી માતા નજમા ખાનુમ છે. ત્યારબાદ કોર્ટના આદેશથી ત્રણ વર્ષ બાદ બાળકને તેની અસલી માતાને સોંપવામાં આવ્યો હતો.