ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિવારજનોએ જેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા તે સભ્ય જીવતો બહાર આવ્યો. અચાનક મૃત વ્યક્તિને ઘરે પાછો આવતો જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા. અંતિમ સંસ્કાર કર્યા પછી જ્યારે પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે તેઓએ જોયું કે જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે એક ખાટલા પર બેઠો હતો.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો 12 મેના રોજ કોન ભરૂહવા ગામ શાક માર્કેટ પાસે માર્ગ અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. આ પછી પોલીસે મૃતદેહને મોર્ચરીમાં રાખ્યો હતો. પોલીસે મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસે ઓળખ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. મૃતકનો ફોટો વાઈરલ થતા પરિવારજનોએ મૃતકની ઓળખ કરીને શબગૃહમાં પહોચ્યા હતા.
મૃતદેહ જોયા બાદ પરિજનોએ જણાવ્યું કે તે ભવાનીપુર ગામનો રહેવાસી મુન્નીલાલ છે.છેલ્લા એક મહિનાથી તે ઘરની બહાર ગયો હતો. મૃતદેહની ઓળખ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશની ઓળખ કરતા સગા સંબંધીઓને સોંપી હતી. બુધવારે રાત્રે મૃતદેહની અંતિમ વિધિ કરીને પરિવારજનો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરે લોકોની ભીડ જોવા મળી હતી.
મુન્ની લાલને ટોળાની વચ્ચે બેસીને વાત કરતા જોઈને અંતિમ સંસ્કાર કરીને પરત ફરેલા લોકોની આંખો ફાટી ગઈ હતી. મુન્ની લાલના ભાઈઓએ જણાવ્યું કે મૃતકના ચહેરા પર ઈજા થઈ હતી અને ચહેરો સંપૂર્ણ રીતે સૂજી ગયો હતો. મૃતકનો ચહેરો અને દેખાવ પણ બિલકુલ મુન્ની લાલ જેવો દેખાતો હતો જેના કારણે તેણે પોતાનો ભાઈ સમજી લાશની ઓળખ કરી અંતિમ સંસ્કાર કર્યા હતા.
ચુનારમાં તેના સંબંધીઓ સાથે રહેતો હતો. તેની પાસે મોબાઈલ ન હતો. ફોન ન હોવાના કારણે તે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી શકતો ન હતો. આ અંગે ચોકીના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે મુનીલાલને પોલીસ ચોકી બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.