વારાણસીના માનકૈયા ગામમાં વરઘોડો ધામધૂમ સાથે કન્યાના દ્વારે પહોંચ્યો. વરરાજા અને તેના પરિવારનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બધું નિર્ધારિત સમય મુજબ થઈ રહ્યું હતું, પરંતુ વરમાળા સમયે કન્યાને ખબર પડી કે વરરાજા અને તેના સાથીઓ દારૂ પી ગયા છે બસ આ કારણે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી.
આ દરમિયાન દુલ્હનને તેના સંબંધીઓ દ્વારા ઘણું સમજાવવામાં આવ્યું, પરંતુ તે લગ્ન ન કરવા પર અડગ રહી. દુલ્હનએ જણાવ્યું કે જ્યારે તેણે વરરાજાને વરમાળા માટે સ્ટેજ પર આવતા જોયો તો તેના પગ ધ્રૂજી રહ્યા હતા. જ્યારે તે નજીક આવ્યો ત્યારે તેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. ત્યારબાદ તેણે તેના પરિવારના સભ્યોને ફરિયાદ કરી અને લગ્ન કરવાની ના પાડી.
કન્યા કહે છે કે દારૂડિયા પતિ સાથે લગ્ન કરવાથી તેનું જીવન બરબાદ થઈ જશે. એટલા માટે તે આ વર સાથે લગ્ન નહીં કરે. વરરાજાના પરિવારજનોએ પણ દુલ્હનને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તે રાજી ન થઈ. જ્યારે વરરાજાના મિત્રોને કન્યાના લગ્ન ન થવાની ખબર પડી તો તેઓએ હંગામો શરૂ કર્યો. બંને પક્ષે મારામારી શરૂ થઈ અને પોલીસ બોલાવવી પડી.
મિરઝામુરાદ પોલીસ સ્ટેશનની પોલીસે બંને પક્ષોને સમાધાન કરાવ્યું અને ઘાયલોની પ્રાથમિક સારવાર પણ કરાવી. પરંતુ વરઘોડો દુલ્હન વગર જ પરત ફર્યો. રાત્રે બંગાળીપુરથી શોભાયાત્રા માનકૈયા ગામમાં આવેલી પટેલ બસ્તી ખાતે આવી હતી. આ બાબતની ચર્ચા ગામમાં વધુ હતી અને લોકોએ કન્યાના આ નિર્ણયને આવકાર્યો હતો.