અરબ સમુદ્રમાં ઉત્પન થયેલા વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા દરેક લોકોએ પ્રાર્થના કરી છે કે આ વાવાઝોડું નબળું પડે અને ઓછામાં ઓછું નુકસાન થાય. બિપરજોય વાવાઝોડું 15 જૂને બપોરે કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના એલર્ટ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદ સુધી તેની અસર જોવા મળશે, પરંતુ તેનું એપીસેન્ટર કચ્છ જ રહેશે.
કચ્છના લોકોમાં 1998માં આવેલા વાવાઝોડાની યાદો તાજી થઈ રહી છે. જ્યારે જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી હતી. બિપરજોયને પણ 1998ના તોફાનની જેમ જ અત્યંત અતિભયંકર માનવામાં આવે છે. જૂન 1998માં આવેલા વાવાઝોડાનું લેન્ડફોલ પણ ગુજરાતમાં થયું હતું. બિપરજોય પણ ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.
જૂન 1998માં આવ્યું હતું વિનાશક તોફાન
વર્ષ 1998માં આવેલા વાવાઝોડાએ સિંધ-ગુજરાતની બોર્ડરે ટકરાયું હતું. વિનાશક વાવાઝોડું 4 જૂને સર્જાયું હતું અને 8 જૂને લેન્ડફોલ થયું હતું. આ વાવાઝોડામાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. એક રિપોર્ટ અનુસાર આ વાવાઝોડાથી દેશભરમાં 10,000 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ મોતના આંકડા સામે આવ્યા હતા. ગુજરાતમાં 1173 લોકોના મોત થયા હતા. જ્યારે 1500થી વધુ લોકો લાપતા થયા હતા. આ વાવાઝોડાએ એવી તબાહી મચાવી હતી કે આજે પણ કચ્છના લોકો આ વાવાઝોડાને યાદ કરીને ધ્રૂજી ઉઠે છે.
વાવાઝોડાને લઈ કંડલા પોર્ટને કરાયો ખાલી
8 જૂન 1998ના રોજ આવેલા વાવાઝોડાથી કચ્છના કંડલા બંદરને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ કંડલા પોર્ટને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યો છે. હજારો ટ્રકોના પૈડા સંપૂર્ણપણે થંભી ગયા છે અને બધાને દૂરના શેલ્ટર હોમમાં ખસેડાયા છે. 25 વર્ષના અંતરાલ પછી ફરીથી બિપરજોય મોટી તબાહી સર્જે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
આ પણ વાંચો
વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું
1960થી લઈને આજદીન સુધીમાં ગુજરાતમાં 7 વાવાઝોડા ત્રાટક્યા
ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વિનાશક તોફાનમાં 1983ના વાવાઝોડાનો પણ ઉલ્લેખ કરાય છે. આમાં પણ ગુજરાતને ઘણું નુકસાન થયું હતું. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે થઈ હતી. સૌથી વધુ નુકસાન 1998માં થયું હતું. બે વર્ષ પહેલા મે મહિનામાં આવેલા વાવાઝોડામાં સરકારની તૈયારીઓને કારણે બહુ નુકસાન થયું ન હતું.
આ વાવાઝોડામાં 174 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 81 લોકો લાપતા થયા હતા. 1960થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં 7 વાવઝોડા ત્રાટક્યા છે. 1998ના વિનાશકારી વાવાઝોડા પછી ગુજરાતમાં લેન્ડફોલ કરનાર સાતમું વાવાઝોડું તૌકતે હતું.