ગુજરાતના કૃષિકારો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કૃષિ સંલગ્ન વિવિધ યોજનાઓ થકી જગતના તાતને આર્થિક સધ્ધરતા અપાવવા માટે રાજ્યનો કૃષિ વિભાગ પ્રયાસરત છે. વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી રાજ્યના હજારો ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે. કૃષિ યાંત્રિકરણનો વ્યાપ વધારવા માટે પણ રાજ્યના કૃષિ વિભાગની અલગ અલગ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવી રહી છે.
આવી જ એક યોજના એટલે એ.જી.આર. ૫૦ યોજના, પહેલા રાજ્યના વિવિધ વિસ્તારોના નાના અને સીમાંત ખેડૂતો ટ્રેકટર ખરીદવા માટે અલગ-અલગ અને ઊંચા ભાવો ચૂકવતા હતા. જેથી રાજ્ય સરકારે ટ્રેક્ટરનું જે તે મોડલ સમગ્ર રાજ્યમાં એક જ કિંમતે અને સ્પર્ધાત્મક ભાવો સાથે તમામ ખેડૂતોને મળે તે હેતુથી આ યોજનાનો અમલ શરૂ કરાવ્યો. વર્ષ ૨૦૧૦-૧૧ સુધી ખેડૂતોને ટ્રેકટર ખરીદીમાં સહાય માટે રાજ્યમાં કેન્દ્ર પુરસ્કૃત યોજના અમલમાં હતી. ટ્રેક્ટરની અગત્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની ફાર્મ મિકેનાઈઝેશન વધારવાની કટિબદ્ધતા અને ખેડૂતો દ્વારા થતી માગને પહોંચી વળવા રાજ્યની પ્લાન યોજના હેઠળ એ. જી. આર. ૫૦ ટ્રેક્ટર સહાય યોજના વર્ષ ૨૦૧૧-૧૨થી ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે.
૧૦૦% રાજ્ય પુરસ્કૃત આ યોજનાનો અમલ વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે, જેમાં અમદાવાદ જિલ્લો અગ્રેસર છે. જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ખેતીવાડી વિભાગની સક્રિયતાને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં એ.જી.આર- પ૦ યોજના હેઠળ ટ્રેકટર ખરીદી માટે ૨૮૭૬ ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. જે પૈકી ધારાધોરણ અનુસાર ૧૦૨૩ ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી હતી. આ તમામ લાભાર્થીઓને રૂપિયા પાંચ કરોડથી વધુની સબસીડી ચૂકવાઈ છે.
એક વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાંથી સૌથી વધુ ૧૮૩ અરજીઓ વિરમગામ તાલુકાની મંજૂર કરવામાં આવી છે. જ્યારે ધોળકામાં ૧૭૮, સાણંદમાં ૧૬૫, બાવળામાં ૧૪૨, માંડલમાં ૧૦૭, દસ્ક્રોઈમાં ૭૯, ધંધુકામાં ૭૫, દેત્રોજમાં ૫૯, ઘાટલોડિયા અને વેજલપુર તાલુકામાંથી ૧-૧ ખેડૂતને સહાય આપવામાં આવી છે.
આ રીતે ખેડૂતો મેળવી શકે છે યોજનાનો લાભ
એ.જી.આર. ૫૦ યોજના હેઠળ તમામ નાના, સીમાંત, એસ.સી./ એસ.ટી તથા અન્ય ખેડૂતો માટે સમાન સહાય ધોરણ નક્કી કરાયું છે. જેમાં ૧૮થી ૪૦ એચ.પી. સુધીનું ટ્રેકટર ખરીદવામાં આવે ત્યારે રૂ. ૪૫૦૦૦/- તથા ૪૧થી ૬૦ એચ.પી સુધીનું ટ્રેકટર ખરીદવામાં આવે ત્યારે રૂ ૬૦૦૦૦/- જેટલી સહાય સીધી ખેડુતોના બેંક ખાતામાં ડી.બી.ટી. માધ્યમથી જમા કરવામાં આવે છે.
સૌથી સારા સમાચાર આવી ગયા, અક્ષય તૃતીયા પર મળશે મફતમાં સોનું, ફટાફટ આ રીતે લાભ લો
ટ્રેકટર ખરીદ કરવા માટે આઇ- ખેડૂત પોર્ટલ હેઠળ સહાય મેળવવા અરજી કરવી પડે છે. તથા અરજી કર્યા બાદ તરત જ ખેડૂત ટ્રેકટરની ખરીદી કરી શકે છે. મંજૂરી મળ્યા બાદ ટ્રેકટરની ખરીદીના બિલ તથા અન્ય દસ્તાવેજ ખેતીવાડી શાખાને રજૂ કરવાના હોય છે. ખેડૂત દ્વારા સરકાર દ્વારા માન્ય કરેલ એમ્પેનલ થયેલ કંપની તેમજ મોડલ તથા માન્ય ભાવે ખરીદી કરવાની હોય છે.