દેશના સૌથી મોટા નક્સલ ઓપરેશન પર બુધવારે CRPF (Central Reserve Police Force)ના ડીજી સહિત છત્તીસગઢના DGP (Director general of police)એ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. CRPFના DG (Director General) જ્ઞાનેંદ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, આવતા વર્ષે 2026 સુધી અમે દેશને નક્સલમુકત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેને અમે કોઈપણ કિંમતે કરીને જ રહીશું. દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ કરવાનો નિર્ણય લેવાયો છે.
છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે ઓપરેશન
છત્તીસગઢમાં અત્યાર સુધીના સૌથી દુર્ગમ વિસ્તારમાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અહીં 150થી વધારે નક્સલીઓ બન્કર બનાવીને રહેતા હતાં. કેન્દ્રીય અને રાજ્ય પોલીસ એજન્સીઓ દ્વારા નાણાકીય ભંડોળ રોકવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
197 નક્સલીઓને કરાયા ઠાર
CRPFના DGએ જણાવ્યું કે, આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 197 નક્સલીઓને સુરક્ષાદળોએ ઠાર કરી દીધા છે. હાલમાં જ કુર્રગુટ્ટાલુ હિલ્સમાં સુરકક્ષાદળોએ એક મોટી કાર્યવાહી કરીને 31 નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ નક્સલ ઓપરેશન દરમિયાન વિસ્તારમાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ આપણાં સૈનિકોએ ઓપરેશન શરૂ રાખ્યું. ઓપરેશન દરમિયાન 17 FIR દાખલ કરવામાં આવી છે, જેના સંબંધિત જાણકારી કેન્દ્રીય તપાસ એજન્સી NIA સાથે પણ શેર કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન 450થી વધારે IED જપ્ત કરવામાં આવ્યા છે.
નક્સલીઓ સામેનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન
જ્ઞાનેંદ્ર પ્રતાપ સિંહે ઓપરેશન બ્લેક ફોરેસ્ટની જાણકારી આપતા જણાવ્યું કે, આ ઓપરેશન દરમિયાન અમે ટાર્ગેટથી વધારે અને વધુ શ્રેષ્ઠ ઈનપુટ એકઠા કર્યા છે. આવાનારા સમયમાં ટાર્ગેટ્સને હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. નક્સલીઓ સામે આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. ઓપરેશન દરમિયાન નક્સલીઓના ઠેકાણાથી આશરે 12,000 કિ.ગ્રા ભોજન બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. નક્સલીઓ સામે 21 દિવસનું વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જે હેઠળ હથિયાર બનાવવાની 4 ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. હાલ, ફેક્ટરી અને તેની સાથે જોડાયેલા ઉપકરણોને જપ્ત કરવામાં આવ્યા છે.
નિર્દોષ બાળકોનો કરાયો ઉપયોગ
છત્તીસગઢના DGP અરૂણ દેવ ગૌતમે જણાવ્યું કે, નક્લસીઓ દ્વારા નિર્દોષ બાળકોનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ચેતના નાટક મંડળી દ્વારા બાળકોને આમાં સામેલ કરવામાં આવતા હતાં, જેનો ઉપયોગ નક્સલીઓ દ્વારા ઇનપુટ્સ એકઠા કરવા અને તેના દ્વારા ઓપરેશનને આગળ વધારવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, હાલ આવા મામલામાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ઘટાડો
મળતી માહિતી મુજબ, દેશમાં નક્સલ પ્રભાવિત વિસ્તાર 126થી ઘટીને હવે માત્ર 18 રહી ગયા છે. સામાન્ય લોકો સામે નક્સલી ઘટનાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2025માં ફક્ત 19 ઘટનાઓ સામે આવી હતી. 2025માં અત્યાર સુધીમાં 718 નક્સલીઓ આત્મસમર્પણ કરી ચુક્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પાઠવી શુભકામના
આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, ‘નક્સલ વિરોધી આ મોટા અભિયાનને આપણા સુરક્ષાદળોએ માત્ર 21 દિવસમાં પૂરૂ કર્યું છે અને મને ખૂબ જ હર્ષ છે કે, આ ઓપરેશનમાં સુરક્ષાદળોમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. ખરાબ વાતાવરણ અને દુર્ગમ પહાડી વિસ્તારમાં પણ તેમણે પોતાની બહાદુરી અને શૌર્ય સાથે નક્સલીઓનો સામનો કર્યો. આ માટે હું CRPF, STF અને DRG ના જવાનોને શુભકામના પાઠવું છું. આખા દેશને તમારા પર ગર્વ છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે, 31 માર્ચ 2026 સુધીમાં ભારત નક્સલમુક્ત થશે તે નક્કી છે.’