સુદાનમાં ફસાયેલા 56 ગુજરાતીઓને પરત લવાયા છે. સુદાનમાં ફસાયેલા લોકોનું પોતાના પરિવાર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામનું સ્વાગત કર્યું હતું. યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી ભારતે તેના નાગરિકોને બહાર કાઢીને સ્વદેશ લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરું કરી દીધું છે. જે હેઠળ સુદાનથી સાઉદી અરબના જેદ્દાહમાં ભારતીયોને લાવવામાં આવી રહ્યાં છે અને ત્યાંથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા નવી દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે. અત્યાર સુધીમાં લગભગ 1 હજારથી વધુ ભારતીયોને સુદાનથી પરત લાવવામાં આવ્યા છે. સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. ત્યારે ગઈકાલે 56 ગુજરાતીઓને સુદાનથી પરત લાવવામાં આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામનું કર્યું સ્વાગત
સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને અમદાવાદ પરત લવાયા છે. તેઓએ વતનમાં આવતાં જ જીવમાં જીવ આવ્યો હોય એવો હાશકારો અનુભવ્યો હતો. સુદાનમાં ફસાયેલા લોકોનું પોતાના પરિવાર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ગુલાબનું ફૂલ આપીને તમામને આવકાર્યા હતા. આ દરમિયાન હેમખેમ રીતે સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો.
મોદી સરકારનો ખૂબ ખૂબ આભારઃ સુદાનથી પરત આવેલ ગુજરાતી
સુદાનથી પરત આવેલા વિપિનભાઈ હરીલાલ મહેતાએ જણાવ્યું હતું કે, અમે સુદાનમાં એ જગ્યાએ ફસાયેલા હતા, જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. અમને ત્યારે એમ હતું કે, હવે અમે અહીંથી નીકળી શકશું જ નહીં. પરંતુ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઓપરેશન કાવેરી શરૂ થયું ત્યારે અમને ખાતરી થઈ કે હવે અમે હેમખેમ અહીંથી નીકળી જઈશું. ત્યાં પરિસ્થિતિ હજું એમને એમ જ છે, કોઈ સુધારો નથી થયો. અમને પરત લાવવા બદલ મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર.
72 લોકોએ ભારત આવવા માટે કરી છે અરજી
આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે દરેક લોકો હાલ જાણીએ છીએ કે સુદાનમાં અત્યારે અર્ધ લશ્કરી દળો અને સૈન્યની વચ્ચે જે પ્રકારે હિંસા ફાટી નીકળેલી છે. અગલ અલગ દેશના ઘણા લોકો ત્યાં ફસાયેલા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે મંત્રીઓ અને અધિકારીઓની ટીમ ત્યા રવાના કરવામાં આવી છે. ઇન્ડિયન નેવી, એરફોર્સ અને અધિકારીઓએ મળીને સુદાનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવાની યોજના બનાવી છે. ગુજરાતના કુલ અત્યાર સુધીમાં 72 લોકોએ ભારત પરત આવવાની અરજી કરી છે. તેમાંથી ગઈકાલે 56 ગુજરાતીઓને ભારત પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આ તમામને સહી સલામત રીતે પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી હાથ ધરાઈ છે.
રાજકોટ માટે 0281-2471573 નંબર જાહેર કરાયો
કંટ્રોલ રૂમમાં 079-27560511 નંબર પર કૉલ કરીને માહિતી મેળવી શકાશે. તેમજ સુદાનમાં રાજકોટના નાગરિકો માટે ફોન નંબર જાહેર કરાયો છે. જેમાં 0281-2471573 નંબર જાહેર કરાયો રાજકોટના કોઈ નાગરિક સુદાનમાં ફસાયેલા હોય તો સંપર્ક કરી શકે છે.
અમદાવાદ કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો
સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે અમદાવાદ કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. સુદાનમાં ફસાયેલા નાગરિકો માટે કેન્દ્ર સરકારનું ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધી 1 હજારથી વધુ ફસાયેલા લોકોને દેશમાં પરત લવાયા છે. વધુમાં ફસાયેલા ભારતીયોના પરિવાર કંટ્રોલ રૂમમાં કૉલ કરીને માહિતી મેળવી શકાશે. સુદાનથી પરત આવવા માગતા ભારતીયો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવ્યો છે.
મધરાતે આ દેશની ધરા ધ્રૂજતા ચકચાર મચી ગઈ, 90 મિનિટમાં બે ભયંકર ભૂકંપ આવ્યા, તીવ્રતા જાણીને બીક લાગશે
ભારત સરકારે હાથ ધર્યું છે ઓપરેશન કાવેરી
સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે હાલ ચાલી રહેલા આંતરિક યુદ્ધના લીધે ત્યાં વસતા અન્ય દેશોના લોકો પણ ફસાઇ ગયા છે. આંતરિક યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન “કાવેરી” હાથ ધરવામાં આવ્યું છે.