જામનગર જિલ્લાના જામજોધપુરના ધ્રાફાથી છકડો રિક્ષા દેવભૂમિ દ્વારકાના ભાણવડના જામરોજીવાળા ગામે જઈ રહી હતી. ત્યારે ભાણવડ-ખંભાળિયા હાઇવે રોડ પર પુલ પરથી છકડો રિક્ષા પેસેન્જર સાથે નીચે ખાબકી હતી. છકડો રિક્ષામાં 12 પેસેન્જર સવાર હતા.
છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા અને અન્ય આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના સમયે જામનગરના જામજોધપુરના ધ્રાફાથી છકડો રિક્ષા 12 જેટલા પેસેન્જરોને લઈ દેવભૂમિ દ્વારકાના ભાણવડના જામરોજીવાળા ગામે જઈ રહ્યો હતો. ત્યારે ભાણવડ-ખંભાળિયા હાઇવે રોડ પર રોજીવાડા ગામ પાસેની નદી પરના બ્રિજ પરથી અચાનક જ છકડો રિક્ષા પુલની દીવાલ તોડી નદીમાં નીચે પડ્યો હતો. છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકતાં રોડ પર મોતની ચિચિયારી ગૂંજી ઉઠી હતી.
ભાણવડના જામરોજીવાળા ગામ પાસેના અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે જામનગર અને ખંભાળિયા રિફર કરાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.