Ahmedabad News: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટે આજે ચુકાદો આપી દીધો છે. અને જામીન અરજી નામંજુર કરી છે. આરોપી તથ્ય પટેલને જેલમાંથી મુક્ત કરવાને લઈને કાર્ટે આજે નિર્ણય લીધો છે અને નબીરા તથ્ય પટેલને ઝાટકો આપ્યો છે.
આ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ત્રણેય પક્ષોની દલીલ પૂર્ણ થતાં ન્યાયધીશ ડી.એમ વ્યાસે ચુકાદો 24મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો. ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 141.27ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી.
તથ્ય પટેલના વકીલે પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યું ગતું કે, અગાઉ થાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. પોલીસ હાજર હતી, પરંતુ પોલીસે બેરિકેડિંગ કર્યું નહતું. આમાં જેટલી બેદરકારી તથ્યની છે, એટલી જ બેદરકારી પોલીસની પણ છે. નિસાર વૈદ્યએ દલીલ કરતા જણાવ્યું હતું કે, તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં.
પોલીસે ઉતાવળે તપાસ કરી અને ચાર્જશીટ ફાઈલ કરી છે. આખી ઘટના પાછળ તથ્યનો કોઈ જ ઈરાદો ન હતો, આકસ્મિત ઘટના બની છે, ત્યારે જામીન આપવા જોઈએ. જો કે એવું કંઈ થયું નહીં અને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.