Lok Sabha Elections: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી લડનારા ઉમેદવારોની યાદીમાં રાજ્યસભાના ઘણા સાંસદોના નામ પણ સામેલ હશે. આ સાથે રાજ્યસભાના સભ્યો મંત્રીઓએ 2024ની તૈયારી કરવાની શરૂ કરી દીધી છે. ભાજપે વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને જેઓ રાજ્યસભામાં તેમની ત્રીજી મુદત પૂરી કરી રહ્યા છે. તેમને લોકસભાની ચૂંટણી લડવા જણાવ્યું છે. જેથી તેઓ સંસદમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી શકે.
આ યાદીમાં એ નેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે જે મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આવા નેતાઓને તેમની પસંદગીની બેઠક પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પાર્ટી સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વની અધ્યક્ષતામાં મળેલી સંગઠનાત્મક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિધાનસભાની ફોર્મ્યુલા પર ભાજપ
બેઠકમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીઓનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું હતું, જ્યાં ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત 18 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર સારા પરિણામો જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા એક વર્તમાન કેન્દ્રીય મંત્રી સહિત પાર્ટીના ઓછામાં ઓછા બે દિગ્ગજ નેતાઓને દિલ્હીથી મેદાનમાં ઉતારવાની અપેક્ષા છે.
આ મંત્રીઓ લડી શકે લોકસભા!
કેન્દ્રીય મંત્રીઓ જે રાજ્યસભાના સાંસદ છે તેમાં રાજીવ ચંદ્રશેખર, પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણેનો સમાવેશ થાય છે.
કર્ણાટકના ચંદ્રશેખર અને સીતારમણ, મહારાષ્ટ્રના ગોયલ અને ગુજરાતના રૂપાલા એ નવ ભાજપના નેતાઓમાં સામેલ છે જેઓ હાલમાં ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ છે. આ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સભ્ય છે.