India News : ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ ભારત અંતરિક્ષની દોડમાં અન્ય દેશો કરતા ચઢિયાતો બની ગયો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) સમગ્ર મિશન દરમિયાન સતત સચોટ અપડેટ્સ આપતું રહ્યું છે. દરમિયાન શુક્રવારે ચંદ્રયાન-3ની બે તસવીરો ઇસરોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. ઇસરોએ કહ્યું કે આ તસવીરો ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધી છે.
રસપ્રદ વાત એ છે કે ઈસરોએ ટ્વીટ સહિતની તમામ તસવીરોને મિનિટો બાદ ડિલીટ કરી દીધી હતી. આ અંગે ઈસરો તરફથી કોઈ સ્પષ્ટતા જારી કરવામાં આવી નથી, કે અન્ય કોઈ તસવીરો પણ શેર કરવામાં આવી નથી. શેર કરેલી તસવીરોમાં ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર દેખાઈ રહ્યું હતું.
ટ્વિટમાં શું લખ્યું હતું?
આ ફોટો શેર કરતી વખતે ઈસરોએ લખ્યું હતું કે ‘હું તમારી જાસૂસી કરું છું’. ચંદ્રયાન-3ની આ તસવીરો ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં લગાવવામાં આવેલા હાઇ રિઝોલ્યુશન કેમેરામાંથી લેવામાં આવી હતી. ભારતનું મૂન મિશન ચંદ્રયાન-2 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ચંદ્ર પર ઉતરવાની થોડી મિનિટો પહેલા જ ક્રેશ થઈ ગયું હતું. જોકે તેનું ઓર્બિટર હજુ પણ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે.
ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યું
ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યાના થોડા કલાકો બાદ રોવર પણ લેન્ડરમાંથી બહાર આવી ગયું છે. તેની તસવીર પણ ઈસરોએ શેર કરી છે. રોવર ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી રહેશે અને ત્યાંના વાતાવરણ અને માટીની તપાસ કરશે. આ સિવાય ચંદ્રના દક્ષિણ ભાગમાં પણ પાણી શોધવાનો પ્રયાસ કરશે. ગ્રીસની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી સીધા બેંગ્લુરુ જશે, જ્યાં ઇસરોનું હેડક્વાર્ટર આવેલું છે, જ્યાં તેઓ ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે.