અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલા બિપરજોય વાવાઝોડાએ રાજ્યના વહિવટી તંત્રને ચિંતામાં મુક્યો છે. બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જેથી વાવાઝોડાના મુંદ્રાથી લઇને કરાચી સુધીના વિસ્તારમાં ટકરાવવાની શક્યતા છે. બિપરજોય વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, હવે બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
માંગરોળ અને દ્વારકામાં જોવા મળશે સૌથી વધુ અસર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં જોવા મળશે. તો બીજી બાજુ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે. વધુમાં જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 12થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે જોવા મળશે.
દરિયામાં ભારે કરંટ જોવા મળશે- અંબાલાલ
અંબાલા પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા પણ મળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિયઃ અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 12થી 16 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ પાસે આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવવા લાગશે.
આ પણ વાંચો
વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી, ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું
રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે છે અતિભારે વરસાદ
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.