India News : વલસાડમાં એક મોટી ઘટના બની છે. વલસાડના વાપીમાં મચ્છર મારવાના ધુમાડાથી ગુંગળાઈ જતાં એક બાળકીનું કરૂણ મોત થયું છે. ઘરના 4 સભ્યો ગુંગળાઈને બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વાપીના સુલપડમાં એક દુખદ ઘટના બની છે. મચ્છરો રાતની ઊંઘ હરામ કરી નાંખતા હોય છે. ત્યારે પરિવારના સભ્યો રાત્રે આરામથી ઊંઘવા માગતા હતા. પરંતુ બીજી તરફ, મચ્છરોનો ત્રાસ હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોવાથી તેઓએ મચ્છર મારવા માટે ધુમાડો કર્યો હતો. જેમાં ઘરમાં સૂઈ રહેલો પરિવાર મચ્છર મારવાના ધુમાડાથી ગુંગળાઈ ગયો હતો અને બેભાન થઈ ગયો. પરંતુ દુર્ભાગ્યવશ પાંચ સભ્યોમાંથી એક બાળકીનું મોત થયું છે.
મચ્છર મારવાના ધુમાડો કરી સૂતેલા પરિવાર ગૂંગળામણથી બેહોશ થઈ ગયો હતો. પરંતુ એક બાળકીનું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. બાકીના 4 સભ્યો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં શ્વાસની બીમારીઓ હવે ઉત્તરોતર વધી રહી છે, જેના માટે મુખ્યત્વે પ્રદુષણ જવાબદાર છે. વાયુ પ્રદુષણ ઉપરાંત એક સંશોધન અનુસાર ભારતમાં મચ્છર ભગાડવા વપરાતી અગરબત્તી ઓરડામાં સળગાવવાથી તેના ધુમાડાને શ્વાસમાં લેવાથી પણ ગંભીર શ્વાસના રોગો થવાની શક્યતા રહેલી છે.