અમદાવાદના નરોડા ગામ રમખાણોના કેસમાં વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. ગુરુવારે, 20 એપ્રિલના રોજ, SIT કેસના વિશેષ ન્યાયાધીશ એસકે બક્ષીની અદાલતે 68 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હકીકતમાં 2002માં થયેલા આ રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. આ પછી તપાસના આધારે પોલીસે ગુજરાતના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત 86 લોકોને આરોપી બનાવ્યા હતા. આ 86 આરોપીઓમાંથી 18ના મોત થઈ ચૂક્યા છે. આ કેસમાં 21 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.
જણાવી દઈએ કે 2002માં ગોધરામાં ચાલતી ટ્રેનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 58 લોકોના મોત થયા હતા. ગોધરાની ઘટનાના વિરોધમાં બીજા દિવસે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદના નરોડા ગામમાં કોમી હિંસા ફેલાઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. આ પછી જ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફેલાઈ ગયા. આ કેસમાં SITની તપાસ બેઠી હતી અને માયા કોડનાનીને SIT દ્વારા આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી. માયા કોડનાની રાજ્ય સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.
નરોડા ગામ હત્યાકાંડના કેસમાં આરોપીઓ સામે IPC કલમ 302 હત્યા, 307 હત્યાનો પ્રયાસ, 143, 147 રાયોટીંગ, 148, 129 B, 153 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ, કોડનાનીને નરોડા પાટિયા રમખાણ કેસમાં વિશેષ અદાલતે 28 વર્ષની સજા ફટકારી હતી. આ રમખાણોમાં 97 લોકોના મોત થયા હતા. જો કે બાદમાં હાઈકોર્ટે કોડનાનીને નિર્દોષ જાહેર કર્યા હતા.