ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. આ અંતર્ગત તમામ રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
વડોદરામાં રામનવમી નિમિત્તે રામજીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટના ભારે ચર્ચાઈ હતી, ત્યારે હવે સરકારે પણ એમાં કડક પગલા લેવાનું નક્કી કર્યું છે અને આ મામલે હર્ષ સંઘવીએ પણ આકરા પાણીએ આદેશ આપી દીધા છે. તેમણે કહ્યું કે આ રાજ્ય કક્ષાની મેટર છે અને રાજ્ય સરકાર તેની ઉપર ગંભીરતાથી નજર રાખી રહ્યું છે.
સંઘવીએ વાત કરી કે હેટ સ્પીચ આપનાર રાજ્યના કોઈ પણ ખૂણામાં હોય તેમાં સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે પગલા ભરવામાં આવ્યા છે. આ બાબતે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે. હર્ષ સંઘવીએ આજરોજ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પથ્થરમારો કરીને જેઓ શહેર છોડી ભાગી ગયા છે, તેઓ ગમે ત્યાં છુપાયા હશે, તેઓેને એક-એકને પકડીને લાવીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરીશું.
રાજ્યની મહેનત અને સરકાર વિશે વાત કરતાં સંઘવીએ કહ્યું કે આપણે મહેનત કરીને ગુજરાતને દેશમાં નંબર-1 બનાવ્યું છે.
આપણે ઇદનો તહેવાર હોય કે, દિવાળીનો તહેવાર હોય આપણે ક્યારેય કોઈ ભાગલા પાડ્યા નથી. રામનવમીમાં યાત્રા ચાલતી હોય અને પથ્થરમારો થાય એ અતિ ગંભીર બાબત છે. અમે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. હાલ સીસીટીવી અને વીડિયોની મદદથી તોફાનીઓને પકડવામાં આવી રહ્યા છે.