ગુજરાત રાજ્ય પર વિકરાળ સ્વરૂપ સાથે આવી રહેલા બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈ હવામાન વિભાગ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત એલર્ટ મોડ પર છે. પળે પળની અપડેટ પર સરકારના ઉચ્ચ અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા છે. તમામ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓની જવાબદારી મંત્રીઓને સોંપી છે. જે બાદ મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. વાવાઝોડાની અસરને પહોંચી વળવા તંત્ર સાથે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે જામનગરના જોડિયામાં વહીવટી તંત્ર હજુ સુધી કોઈ પહોંચ્યું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
દરિયા કાંઠે રહેતા પરિવારોનું નથી કરાયું સ્થળાંતર
જામનગરના જોડિયામાં હજુ સુધી કોઈ અધિકારીઓ આવ્યા જ નથી. દરિયા કાંઠે રહેતા પરિવારોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું નથી. દરિયાની પાસે આવેલા આ ગામમાં 1500થી વધારે કાચા મકાનો આવેલા છે, છતાં બિપરજોયના ખતરા સામે તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. વહીવટી તંત્રના એક પણ અધિકારીઓ હજુ સુધી આ ગામમાં ન આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
હજુ સુધી અમને કોઈ પૂછવા નથી આવ્યુંઃ સ્થાનિક
જોડિયા ગામના લોકો દરિયાકાંઠે રહે છે તેમ છતાં હજુ સુધી કોઈ પૂછવા આવ્યું નથી. માછીમારી બંધ કરાવી પણ વાવઝોડાથી રક્ષણ આપવા કોઈ વ્યવસ્થા કરાઈ નથી. અહીંયા કોઈપણ જાતનો સપોર્ટ જ નથી. અહીંયા નબળી પરિસ્થિતિવાળા લોકો રહે છે. તેમના કાચા મકાનો હોય તો નુકસાની વધારે થાય. જોડિયા ગામમાં પતરાવાળા, નળિયાવારા કાચા મકાનો વધારે છે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
પ્રધાનમંત્રી મોદીએ ભૂપેન્દ્ર પટેલ પાસેથી પરિસ્થિતીનો તાગ મેળવ્યો
ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડાને લઈને પ્રધાનમંત્રી મોદીએ હાઈ લેવલ મિટિંગ બોલાવી હતી. જે બાદ ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓને પ્રભાવિત જિલ્લાની સમીક્ષાની જવાબદારી સોપાઈ હતી. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખીને પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકારે સંભવિત તમામ મદદની ખાતરી આપી હતી.