Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે એક હજારથી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર છે, આ દરમિયાન ભારતીય રેલ્વેએ એક નિવેદન જારી કરીને અકસ્માત વિશે વિગતવાર માહિતી આપી છે. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ટ્રેન નંબર- 12481 કોરોમંડલ એક્સપ્રેસ (કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માત) બાલાસોરના બહંગા બજાર સ્ટેશનની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે તે માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. જે સમયે આ ઘટના બની તે સમયે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પૂરપાટ ઝડપે હતી. તેને સ્ટેશન પર રોકવી શક્ય ન હતી. જેના કારણે આ ઘટના બની, રેલવેએ જણાવ્યું કે 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને જ્યારે 3 કોચ ડાઉન લાઇન પર ગયા હતા.
ટ્રેન અકસ્માતની તપાસ કરી રહેલી ટીમો માનવ ભૂલ, સિગ્નલ નિષ્ફળતા અને અન્ય સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આ ભયાનક ટ્રેન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપ્યો છે. ટ્રેન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ક્રેશ થયેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન મુખ્ય રૂટને બદલે બહંગા બજાર સ્ટેશનની થોડીક પહેલા ‘લૂપ લાઈન’ પર ગઈ હતી અને ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી.
તમને જણાવી દઈએ કે આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે ઓડિશાના બાલાસોર જિલ્લામાં શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી અને માલગાડી સાથે અથડાયા બાદ બની હતી. બંને પેસેન્જર ટ્રેનમાં લગભગ 2500 મુસાફરો હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 288 મુસાફરોના મોત થયા હતા અને 1100થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.
બહંગા બજાર સ્ટેશન પર કોઈ સ્ટોપેજ નહીં
બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનોનું કોઈ સ્ટોપેજ નથી. આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ ઝડપી હતી. બહાનગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા. દુર્ઘટના સમયે ડાઉન લાઇન પરથી પસાર થતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા.
આ અકસ્માત ભુવનેશ્વર રેલ્વે સ્ટેશનથી લગભગ 171 કિલોમીટર અને ખડગપુર રેલ્વે સ્ટેશનથી લગભગ 166 કિલોમીટર દૂર બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પર થયો હતો.
આ પણ વાંચો
ઋતુરાજ ગાયકવાડે મહિલા ક્રિકેટર સાથે સાત ફેરા ફરી લીધા, ક્યૂટ કપલની હોટ તસવીરો ધડાધડ વાયરલ
તાત્કાલિક રાહત વાન મોકલી
દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. રેલવેના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ અકસ્માત રાહત મેડિકલ વાન તેમજ અકસ્માત રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવાના આદેશ આપવામાં આવ્યા હતા. ખડગપુર, ભદ્રક, ટાટાનગર, સંતરાગાચી, ખુરદારોડ અને બાલાસોર સ્ટેશનોથી અકસ્માત રાહત ટ્રેનો અને અકસ્માત રાહત મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.