India News : સાળંગપુરમાં (salangpur) હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવતા દાદાના ભક્તો મેદાનમાં ઉતર્યા છે. કઈ રીતે ભગવાનને કોઈની સામે માથું ઝૂકાવતા દર્શાવી શકાય તે મુદ્દે ભારે વિવાદ થઇ રહ્યો છે. આવામાં હવે કરણી સેનાએ (karni sena) પણ ઝંપલાવ્યું છે. કરણી સેનાએ આ પ્રકારના ભીંતચિત્રો મામલે ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે. ભીંતચિંત્રો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કરણી સેના દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે તે અંગે પણ વાત કરવામાં આવી હતી.
ગુજરાત કરણી સેનાના ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલિયા દ્વારા હનુમાનજીને દાસ દર્શાવવા માટે મુદ્દે કેવા પગલા ભરવામાં આવશે તે અંગે વાત કરી છે. તે જણાવે છે કે, આ મુદ્દાથી સનાતન ધર્મીઓની લાગણી દુભાઈ છે. કરણી સેનાનું સંગઠન મોટી સંખ્યામાં સાળંગપુરમાં શનિવારે વિરોધ કરવા માટે પહોંચવાનું છે, જે ચિત્રો છે તેને દૂર કરવાની કોશિશ કરીશું. જો આમાં કોઈ અડચણ ઉભી થશે તો અમે જ્વલંત આંદોલન કરીશું.
સામતભાઈએ જણાવ્યું કે કરણી સેના સાથે ગુજરાત કાઠી સમાજ સહિત અન્ય સમાજોની સાથે મળીને આંદોલન કરવાના છીએ. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા જે દર્શાવવામાં આવ્યું છે તે અતિશય ખોટું હોવાનું સામતભાઈ કહે છે, તેઓ કહે છે કે હનુમાનજી ફક્તને ફક્ત રામના ભક્ત કહેવાય, બીજા કોઈના તેઓ ભક્ત કે કોઈના દાસ નથી.
આગળ તેમણે આ મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાય સામે વિરોધ વ્યક્ત કરીને જણાવ્યું કે, પોતાની લીટી લાંબી કરવા અને સનાતન ધર્મની લીટી ટૂંકી કરવા માટે આમ કર્યું છે, આવાર-નવાર સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મ પર ઘા કરે છે. ખોટા આક્ષેપો કરીને પોતાની મહાનતા દર્શાવવા માટે સનાતન ધર્મને નીચો પાડે છે. પરંતુ વિશ્વમાં સનાતન ધર્મથી મોટો કોઈ ધર્મ નથી, જે સ્વામીનારાયણ સંપ્રદાયે યાદ રાખવું પડે.
જ્વલંત આંદોલનના કાર્યક્રમ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, જેપી જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે, હાલ ગુજરાત રાજ્યના કરણી સેનાના અધ્યક્ષ મેહુલ રાઠોડ છે, તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતભરમાંથી હનુમાનજીને દાસ દર્શાવવા મુદ્દે વિરોધ કરવા માટે કરણી સેનાના સૈનિકો ઉપસ્થિત રહેવાના છે. જો રજૂઆતથી ભીંતચિત્રો દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર અને જ્વલંત આંદોલન કરવાની ચીમકી પણ કરણી સેનાના ગુજરાતના ઉપાધ્યક્ષ સામતભાઈ જણાવે છે.