વિજય હજારે ટ્રોફી 2022ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતની મેચોમાં જ સિનિયર ખેલાડીઓની સાથે યુવાઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બધા વચ્ચે આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમતા યુવા ખેલાડીને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ ખેલાડી પણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં છે.
મુંબઈની ટીમ વિજય હજારે ટ્રોફી રમવા માટે રાંચીમાં છે. આ દરમિયાન ટીમના વિસ્ફોટક બેટ્સમેન સરફરાઝ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ સરફરાઝ ખાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સરફરાઝ રવિવારે સર્વિસીસ સામે રમતા જોવા મળ્યો ન હતો.
સરફરાઝના પિતા નૌશાદ ખાને ખુલાસો કર્યો હતો કે સરફરાઝ ખાનને કિડનીમાં પથરી છે. ‘તે નાની છે પરંતુ ઘણું દર્દ આપે છે. તે લાંબા સમયથી આ દર્દથી પીડાઈ રહ્યો છે. આ કારણે તેને ખૂબ દુખાવો થતો હતો, જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. તે હવે ઠીક છે.’ સરફરાઝ ખાનને આજે (14 નવેમ્બર) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
મુંબઈએ તેની આગામી મેચ મહારાષ્ટ્ર સામે રમવાની છે. આ મેચ પહેલા ટીમના એક અધિકારીએ કહ્યું હતું કે, ‘સરફરાઝના ફિટ થવાની આશા છે. હોસ્પિટલમાં એક રાત રોકવું એ સાવચેતીભર્યો નિર્ણય હતો અને અમને ગુરુવારની મેચમાં તેના રમવાનો વિશ્વાસ છે. સરફરાઝ ખાને રણજી ટ્રોફીની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને રણજી ટ્રોફીની આ સિઝનની 6 મેચમાં 122.75ની એવરેજથી સૌથી વધુ 982 રન બનાવ્યા છે.
સરફરાઝે આ દરમિયાન 4 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. સરફરાઝે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 80થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં 2000 થી વધુ રન બનાવ્યા પછી ફક્ત સર ડોન બ્રેડમેનની તેમના કરતા સારી એવરેજ છે. આ સાથે જ તેણે દુલીપ ટ્રોફી 2022માં પણ સદી ફટકારી હતી.