ભારતના પાટનગર દિલ્હીમાં વધતાં જતાં ક્રાઈમ વચ્ચે એક આધેડ મહિલાની કરપીણ હત્યાનો ગંભીર કેસ સામે આવ્યો છે. આ કેસમાં હત્યા કરાવનાર બીજુ કોઈ નહીં પરંતુ એની પુત્રી જ હતી. આ મહિલા દિલ્હીની આંબેડકર નગરમાં સ્થિત એક ૪ માળના બિલ્ડિંગના પહેલા માળે રહેતી હતી. જાેકે આ હત્યા કેસમાં પહેલા બે યુવકો દ્વારા હત્યા કરવાની અફવાએ જાેર પકડ્યું હતું. મહિલાની હત્યાના સમચાર મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસને રુમમાં લૂંટના કોઈ સંકેત મળ્યા નહોતા, પરંતુ એની ૨૪ વર્ષની દીકરીનું કહેવુ હતું કે, રાતે આશરે ૯.૩૦ વાગ્યે માસ્ક પહેરીને આવેલા બે લોકોએ એની માતાની હત્યા કરી અને ઘરમાંથી ઘરેણાં અને રોકડ લુંટીને ભાગી ગયા હતા.
પોલીસના કહ્યા મુજબ, મૃતકની પુત્રી દ્વારા આપવામા આવેલા નિવેદને એની પર શંકા જગાવી હતી. જ્યારે પુત્રી પણ પોલીસ સામે પોતાના નિવદેન બદલી રહી હતી. પોલીસે જ્યારે સઘન તપાસ કરી ત્યારે લાગ્યું કે મૃતકની દીકરી એમને ગેરમાર્ગે દોરી રહી છે. પરંતુ પોલીસ જ્યારે એની કડક પૂછપરછ કરી ત્યારે એણે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. પતિને છોડીને પ્રેમી સાથે રહેતી પુત્રીનું કહેવુ હતું કે, એની માતા વારંવાર એને સંપત્તિમાંથી બેદખલ કરવાની ધમકી આપી રહી હતી.
એની માતા દબાણ કરી રહી હતી કે, એની પુત્રી પ્રેમીને છોડીને પતિ પાસે પાછી જતે રહે. જે માટે ઘણીવાર એ સંપત્તિમાંથી બેદખલ કરવાની ધમકી પણ આપતી હતી. આથી ગુસ્સામાં આવીને એણે એની માતાના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો.