દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો મંડરાઈ રહ્યો હોવાના સમાચાર સામે આવતા તંત્ર સતર્ક બન્યુ છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલાની ધમકી આપી છે જે બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ પર છે અને આ મામલે દિલ્હી પોલીસે કાલે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિત અનેક માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ અંગે માહિતી આપતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીએ જણાવ્યું કે તહરીક-એ-તાલિબાનના નામે કેટલાક લોકોને ધમકીભર્યા ઈ-મેલ દ્વારા કહ્યુ છે કે દિલ્હીમાં બ્લાસ્ટ કરશે. આ અંગે યુપી [ઓલીસને ફરિયાદ મળી જે બાદ દિલ્હી પોલીસને જાણ કરી હતી. હવે સમગ્ર દિલ્લીમા ફોર્સ વધારી દેવામા આવી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સરોજિની નગરના ટ્રેડર્સ પ્રમુખ અશોક રંધાવાએ જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર બજાર બંધ રહેશે. “ખતરાને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસને બજાર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે,” જોકે, દિલ્હી પોલીસે આવો કોઈ આદેશ મળ્યાનો ઈન્કાર કરતા કહ્યું છે કે , ‘અમારી ટીમ સરોજિની માર્કેટમાં સાવચેતીભર્યા સર્ચ ઓપરેશન માટે ગઈ હતી.’ હાલ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશનમાં લાગેલી છે.
તહરીક-એ-તાલિબાનને પાકિસ્તાનના તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના ડિસેમ્બર 2007માં કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સરહદ નજીકના આદિવાસી વિસ્તારોમાં તેનો નોંધપાત્ર પ્રભાવ છે. આ સંગઠનનો હેતુ પાકિસ્તાનમાં શરિયા આધારિત કટ્ટરપંથી ઈસ્લામિક સરકારની સ્થાપના કરવાનો છે. 2014માં આ જ જૂથે પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલ પર હુમલો કર્યો હતો અને 132 બાળકો સહિત 149 લોકોની હત્યા કરી હતી.